Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચે મોટો ડખો! ભાજપના નેતા ગણેશ નાઈકે CM શિંદેના ગઢમાં જઈને ચેતવણી આપી કે, ‘જો પાર્ટી આદેશ આપે તો અસ્તિત્વ ભૂંસાઈ જશે.’ જાણો શું છે આખો વિવાદ.
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચે મોટો ડખો!
Maharashtra Political News: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સત્તા પર રહેલા ‘મહાયુતિ’ ગઠબંધનમાં બધું સમુસૂતરું ચાલતું નથી તેવા સંકેતો મળી રહ્યા છે. ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે અંદરખાને ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. આ આગમાં ઘી હોમવાનું કામ ભાજપના જ એક નેતા અને રાજ્ય મંત્રી ગણેશ નાઈકે કર્યું છે. નાઈકે ઉપ ઉપ મુખ્યમંત્રી શિંદેનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને એક મોટી ચેતવણી આપી દીધી હતી.
શિંદેના ગઢમાં જઈને ભાજપ નેતાનો લલકાર
વાત એમ છે કે, ગણેશ નાઈક ઠાણેમાં એક ગણેશ મંડળની મુલાકાતે ગયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ઠાણે એ ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. જોકે, નાઈકે આ જ વિસ્તારમાં જઈને શિંદેને આડકતરી રીતે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "જો ભાજપ હાઈકમાન્ડ અમને મંજૂરી આપે, તો તેમનું (શિંદે જૂથનું) નામ અને અસ્તિત્વ ભૂંસાઈ જશે. હું આજે ફરીથી આ જ વાત કહી રહ્યો છું."
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આગામી સમયમાં નવી મુંબઈ, ઠાણે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ વિસ્તારોમાં પ્રભુત્વ જમાવવા માટે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે રસાકસી ચાલી રહી છે.
‘કોઈનો ગઢ કાયમી હોતો નથી’
શિવસેના દ્વારા ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર દાવો કરવામાં આવી રહ્યો છે, જેનો જવાબ આપતા ગણેશ નાઈકે કહ્યું હતું કે, "રાજકારણમાં કોઈપણ ગઢ કોઈનો કાયમી હોતો નથી." તેમણે પોતાની જૂની જીતને યાદ કરતા કહ્યું કે, જ્યારે તેઓ બીજી પાર્ટીમાં હતા ત્યારે પણ તેમણે મેયર પદ અને જિલ્લા પરિષદની બેઠકો જીતી બતાવી હતી.
ગઠબંધનથી કાર્યકરો નારાજ?
ગણેશ નાઈકે ગઠબંધનને લઈને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, "જ્યારે પાર્ટી તરફથી આદેશ મળે છે ત્યારે અમારે તેનું પાલન કરવું પડે છે. ભલે અમારું મન ના માનતું હોય, પરંતુ પાર્ટીની શિસ્તને કારણે કાર્યકરો ચૂપ રહે છે અને સહન કરે છે."
તેમનું માનવું છે કે, સાંસદ અને ધારાસભ્ય જેવા પદો મોટા નેતાઓ માટે હોય છે, પરંતુ કોર્પોરેશન અને નગરપાલિકાઓની ચૂંટણી કાર્યકરો માટે હોય છે. તેથી તમામ પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અલગ-અલગ લડવી જોઈએ અને પરિણામ આવ્યા પછી જેની પાસે વધુ કોર્પોરેટરો હોય તેનો મેયર બનવો જોઈએ.
શિવસેનાએ આપ્યો વળતો જવાબ
ભાજપ નેતાના આ પ્રહારો બાદ શિંદે જૂથ પણ ચૂપ બેસે તેમ નથી. શિવસેનાના મંત્રી પ્રતાપ સરનાઈકે આ ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, "કોઈને જે બોલવું હોય તે બોલે, એકનાથ શિંદે મજબૂત નેતા છે. ઠાણે હંમેશાથી શિવસેનાનો ગઢ રહ્યો છે અને વિધાનસભા તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં શિંદે સાહેબે પોતાની તાકાત વારંવાર સાબિત કરી બતાવી છે."
આમ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ગઠબંધનના સાથીદારો વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે, જે આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચી શકે છે.