PM Modi Assam Visit : દેશના પૂર્વોત્તર રાજ્ય આસામની ધરતી પરથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એવી ગર્જના કરી છે, જેનો અવાજ દિલ્હી સુધી સંભળાયો છે. આસામના કાલિયાબોર ખાતે એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો તો કર્યા જ, પણ સાથે સાથે દેશમાં બદલાઈ રહેલા રાજકીય પવનનો પણ અહેસાસ કરાવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે દેશમાં 'જૂઠ'નું નહીં, પરંતુ ભાજપના 'સુશાસન'નું શાસન ચાલે છે.
પીએમ મોદીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં જનતાએ સતત ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે, તે અભૂતપૂર્વ છે. વાત મહારાષ્ટ્રની હોય કે બિહારની, ભાજપ આજે દેશની પહેલી પસંદ બની ગયો છે. મુંબઈ મહાનગર પાલિકા એટલે કે BMCના પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મુંબઈની જનતાએ ભાજપને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. એટલું જ નહીં, કેરળના તિરુવનંતપુરમમાં પહેલીવાર ભાજપના મેયર બન્યા અને બિહારમાં મળેલી રેકોર્ડબ્રેક જીત એ સાબિતી છે કે લોકો હવે માત્ર વિકાસ ઈચ્છે છે.
રાજકીય વિજયની વાતો વચ્ચે પીએમ મોદીએ કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી તીખો હુમલો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે આસામમાં દાયકાઓ સુધી રાજ કરનારી કોંગ્રેસે માત્ર પોતાની વોટ બેંક સાચવવા માટે આસામની પવિત્ર જમીન ઘૂસણખોરોને પધરાવી દીધી હતી. જંગલો હોય કે પશુઓના કોરિડોર, કોંગ્રેસના શાસનમાં ગેરકાયદેસર કબ્જાઓ થયા અને રાજ્યની અસ્મિતા જોખમાઈ. પરંતુ હવે ભાજપ સરકાર આ ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢી રહી છે અને આસામની સંસ્કૃતિની રક્ષા કરી રહી છે.
મહત્વનું છે કે, આસામના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાજ્યને કરોડોની ભેટ પણ આપી છે. તેમણે 6957 કરોડના ખર્ચે તૈયાર થનારા 'કાઝીરંગા એલિવેટેડ કોરિડોર'નો શિલાન્યાસ કર્યો છે, જે વન્યજીવો અને વાહનવ્યવહાર બંને માટે આશીર્વાદરૂપ બનશે. સાથે જ નાગાંવ જિલ્લામાં બે નવી 'અમૃત ભારત' ટ્રેનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું, જે આ વિસ્તારની કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે. આમ, આસામની ધરતી પરથી પીએમ મોદીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાની સાથે વિકાસનો રોડમેપ પણ રજૂ કરી દીધો છે.