Lok Sabha Elections: ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા વિરુદ્ધ બીજેપી સાંસદ હેમા માલિની વિશે આપેલા નિવેદનને લઈને કાર્યવાહી કરી છે. તેમના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મથુરાના બીજેપી સાંસદ અને અભિનેત્રી હેમા માલિની વિરુદ્ધ તેમના નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પેનલે સુરજેવાલા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કારણ બતાવો નોટિસ ઇશ્યું કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સુરજેવાલા કહી રહ્યા હતા કે, લોકો તેમના ધારાસભ્યો અને સાંસદોને કેમ પસંદ કરે છે? જેથી કરીને તેઓ જનતાનો અવાજ ઉઠાવી શકે. અમે હેમા માલિની નથી કે અમને ચાટવા માટે ધારાસભ્ય કે સાંસદ બનાવવામાં આવ્યા છે. આ નિવેદન બાદ સુરજેવાલાએ સ્પષ્ટતા પણ આપી હતી અને કહ્યું હતું કે તેમનો ઈરાદો હેમા માલિનીને અપમાનિત કરવાનો નહોતો. વાયરલ વીડિયોમાં નિવેદન સાથે છેડછાડ કરવામાં આવી છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, તમે આખી ક્લિપ જુઓ. અમે હેમા માલિની જીનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. તેમણે ધર્મેન્દ્ર જી સાથે લગ્ન કર્યા છે અને તેથી તે અમારી વહુ છે. તેમણે કહ્યું કે, સાર્વજનિક જીવનમાં દરેક વ્યક્તિએ લોકો પ્રત્યે જવાબદેહી હોવી જોઈએ. પછી તે મનોહર લાલ ખટ્ટર હોય કે નાયબ સૈની કે હું. ભાજપ પોતે મહિલા વિરોધી પાર્ટી છે અને તે જુઠ્ઠાણાનો પ્રચાર કરે છે.