કારગિલ વિજય દિવસ: દ્રાસથી રક્ષા મંત્રી રાજનાથ સિંહની ગર્જના, પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી, જાણો PM મોદી સહિતના નેતાઓએ શું કહ્યું | Moneycontrol Gujarati
Get App

કારગિલ વિજય દિવસ: દ્રાસથી રક્ષા મંત્રી રાજનાથ સિંહની ગર્જના, પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી, જાણો PM મોદી સહિતના નેતાઓએ શું કહ્યું

કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો. જાણો PM મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને કેવી રીતે આપી શ્રદ્ધાંજલિ.

અપડેટેડ 11:24:16 AM Jul 26, 2026 પર
Story continues below Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતાઓએ પણ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસના અવસરે સમગ્ર દેશ માતૃભૂમિ માટે બલિદાન આપનારા શહીદોને નમન કરી રહ્યો છે. આ ખાસ દિવસે દ્રાસ સ્થિત કારગિલ વોર મેમોરિયલ ખાતેથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતાઓએ પણ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રાજનાથ સિંહની પાકિસ્તાનને કડક ચેતવણી

દ્રાસમાં આયોજિત કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગર્જના કરતા કહ્યું કે, કારગિલ યુદ્ધ માત્ર સૈન્યની જીત ન હતી, પરંતુ આખી દુનિયાએ ભારતીય જવાનોની વીરતા અને સાહસ જોયું હતું. તેમણે 'ઓપરેશન સિંદૂર' ની પહેલી વર્ષગાંઠનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતીય સેનાએ આતંકવાદીઓ અને તેમના આકાઓને એવો જડબાતોડ જવાબ આપ્યો છે જે તેઓ ક્યારેય ભૂલી નહીં શકે. જો પાકિસ્તાન કોઈ પણ નાપાક હરકત કરશે, તો ભારત તેનો એવો કડક જવાબ આપશે જેની તેઓએ કલ્પના પણ નહીં કરી હોય.

તેમણે સ્પષ્ટ કર્યું કે હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય, અને જો થશે તો તે માત્ર PoK મુદ્દે જ થશે, જે ભારતનો જ હિસ્સો છે. પાકિસ્તાને આતંકવાદને પોતાની સરકારી નીતિ બનાવી દીધી છે અને ત્યાંની સેના આતંકીઓને છાવરે છે.

દેશની એકતા અને સ્વદેશી હથિયારોનો ઉલ્લેખ


વોર મેમોરિયલની દિવાલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અહીં હિમાચલ પ્રદેશથી લઈને તમિલનાડુ અને નાગાલેન્ડ સુધીના શહીદોના નામ છે. આમાં મંદિરમાં જનારા અને મસ્જિદ કે ચર્ચમાં જનારા તમામ લોકો સામેલ છે. દેશને તોડવાનું સપનું જોનારાઓ માટે આ દિવાલ એક સચોટ જવાબ છે. કેપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતા રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય જવાનોનો સ્વભાવ જ આવો છે, તેમને હજુ વધુ જોઈએ છે. પહેલા ભારત 65 થી 70% સંરક્ષણ સાધનો વિદેશથી મંગાવતું હતું, આજે 65% સાધનો ભારતમાં જ બને છે. જેમાં આકાશ મિસાઇલ, પિનાકા રોકેટ લોન્ચર, તેજસ ફાઇટર એરક્રાફ્ટ, પ્રચંડ હેલિકોપ્ટર, અર્જુન ટેન્ક અને INS વિક્રાંત જેવા અત્યાધુનિક સ્વદેશી હથિયારોનો સમાવેશ થાય છે. આજના સમયે કેન્દ્ર સરકાર સેનાને કોઈપણ નિર્ણાયક પગલાં લેવા માટે પૂરી છૂટ આપે છે.

પીએમ મોદી અને અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે, અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણા સૈનિકોનું અદમ્ય સાહસ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. તેમની દેશભક્તિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વર્ષ 1999 માં બર્ફીલી અને દુર્ગમ ચોટીઓ પર આપણા જવાનોએ 'ઓપરેશન વિજય' દ્વારા દુશ્મનોને ઘૂંટણિયે પાડી દીધા હતા. દેશની અખંડિતતા જાળવી રાખનાર એ તમામ વીર સપૂતોને મારું નમન.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શહીદોને નમન કર્યા. ખડગેએ કહ્યું કે જવાનોનું બલિદાન હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ આ સર્વોચ્ચ બલિદાન અને શૌર્ય માટે કાયમ ઋણી રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 26, 2026 11:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.