દેશની પહેલી બુલેટ ટ્રેન સુરત અને વાપી વચ્ચે 100 કિમીના રૂટ પર શરૂ થશે, મુંબઈ-અમદાવાદ વચ્ચે હશે 12 સ્ટેશન
દેશની પહેલી બુલેટ ટ્રેન 2027માં સુરત અને વાપી વચ્ચે 100 કિમીના રૂટ પર દોડવા માટે તૈયાર છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર કુલ 12 સ્ટેશન હશે. જાણો ટ્રેનની સ્પીડ, સમય અને પ્રોજેક્ટની લેટેસ્ટ માહિતી.
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત ટ્રેનની સ્પીડ છે. દેશના આ પહેલા બુલેટ ટ્રેન રૂટ પર ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની જબરદસ્ત ઝડપે દોડશે.
ભારતીયોનું બુલેટ ટ્રેનમાં બેસવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ આપેલી લેટેસ્ટ માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક મહત્વનો ભાગ વર્ષ 2027 માં કોમર્શિયલ ઓપરેશન માટે શરૂ થઈ જશે. દેશમાં હાઈ-સ્પીડ રેલવે નેટવર્કની આ પહેલી અને ઐતિહાસિક શરૂઆત હશે.
સુરત અને વાપી વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન
ભારતીય રેલવેના એડિશનલ ડિરેક્ટર જનરલ ધર્મેન્દ્ર તિવારીએ એક મીડિયા એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, આ આખા કોરિડોર પર મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો તબક્કો 2027 માં સુરત અને વાપી શહેરો વચ્ચે શરૂ કરી દેવામાં આવશે. સુરતથી વાપી વચ્ચેનું આ અંતર આશરે 100 કિલોમીટરનું છે, જ્યાં સૌથી પહેલા ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે.
કુલ 508 કિલોમીટરનો લાંબો રૂટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો આખો રૂટ 508 કિલોમીટર લાંબો છે. જો આ રૂટની રાજ્યવાર વહેંચણી જોઈએ તો,,,348 કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાં આવે છે. 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં છે. 4 કિલોમીટરનો હિસ્સો દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે.
બુલેટ ટ્રેનના 12 સ્ટેશનનું લિસ્ટ
આ હાઈ-સ્પીડ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે
ટ્રેનની સફર ગુજરાતના સાબરમતીથી શરૂ થશે અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ખાતે પૂરી થશે. આ રૂટ પર નીચે મુજબના સ્ટેશનો આવશે.
સાબરમતી (પ્રારંભિક સ્ટેશન)
અમદાવાદ
આણંદ
વડોદરા
ભરૂચ
સુરત
બીલીમોરા
વાપી
બોઈસર
વિરાર
થાણે
મુંબઈ (અંતિમ સ્ટેશન)
સ્પીડ અને મુસાફરીનો સમય
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત ટ્રેનની સ્પીડ છે. દેશના આ પહેલા બુલેટ ટ્રેન રૂટ પર ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની જબરદસ્ત ઝડપે દોડશે. આ સ્પીડના કારણે 508 કિલોમીટરની લાંબી મુસાફરી માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ પૂરી થઈ જશે.
પ્રોજેક્ટમાં કેમ થયો વિલંબ?
જાપાનની અત્યાધુનિક "શિન્કાનસેન" ટેક્નોલોજી પર આધારિત આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ પ્રોજેક્ટને વર્ષ 2023 માં જ પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. પરંતુ, જમીન સંપાદનની પ્રક્રિયા, કોરોનાકાળ અને ખર્ચ વધવાને કારણે પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થયો. આ જ કારણ છે કે વર્ષો વીતી ગયા છતાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ શક્યો નથી. સંપૂર્ણ રૂટ શરૂ થવામાં હજુ થોડા વર્ષો લાગી શકે છે.