India Airport High Alert: ભારતના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કામ કરતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ 4 ઓગસ્ટે એક નોટિફિકેશન જાહેર કરી છે.
સુરક્ષા વ્યવસ્થામાં વધારો
BCASની નોટિફિકેશનમાં તમામ એરપોર્ટ, એરસ્ટ્રિપ, હેલિપેડ, ફ્લાઈંગ સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટર્સમાં સુરક્ષા વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. આતંકવાદીઓ કે અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી શકે છે. આથી, એરપોર્ટ ટર્મિનલ, પાર્કિંગ, આસપાસના વિસ્તારો અને અન્ય મહત્વના સ્થળોએ સતત પેટ્રોલિંગ અને નિરીક્ષણ કરવામાં આવશે. તમામ CCTV કેમેરા 24 કલાક એક્ટિવ રહેશે, અને કોઈપણ સંદિગ્ધ વસ્તુ કે પ્રવૃત્તિની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.
એરપોર્ટની બહાર પણ કડક સુરક્ષા
મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, જો તેઓને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે, તો તાત્કાલિક સિક્યુરિટી સ્ટાફને જાણ કરે. આ સાથે, સમયાંતરે એનાઉન્સમેન્ટ અને સિક્યુરિટી ડ્રિલ્સ પણ યોજવામાં આવશે, જેથી કોઈપણ આપાત્તિની સ્થિતિમાં ત્વરિત પગલાં લઈ શકાય.
BCASએ તમામ એરપોર્ટ ડિરેક્ટર્સને સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય એજન્સીઓ સાથે સંકલન મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ, પેસેન્જર્સ અને સર્વિસ કમિટી સાથે અલગ-અલગ મીટિંગ્સ યોજવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. BCASના રિજનલ ડિરેક્ટર્સને તેમના વિસ્તારના એરપોર્ટ્સમાં તાત્કાલિક સ્પેશિયલ મીટિંગ્સ યોજવા જણાવાયું છે.