Gujarat daily weather report: રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ધોધમાર વરસાદને સ્થાને વાદળછાયું વાતાવરણ અને તાપનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સ્થિતિમાં અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. 25મી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં ચાર દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ચાર દિવસ સુધી હળવો વરસાદ થઇ શકે છે. પાંચમા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ચોથા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાંચમા-છઠ્ઠા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે.
આજની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં મધ્યથી સામાન્ય વરસાદ થઈ શકે આજે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ડાંગમાં રાત્રી દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઘઇમાં ગાજવીજ સાથે રાત્રે મેઘરાજા મહેરબાન થયા હતા. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. .મેઘરાજાએ સવારી કરતા રસ્તા પાણી પાણી થયા હતા.