Earthquake Tremors: શ્રેણીબદ્ધ ધરતીકંપો બાદ જ્વાળામુખી ફાટી નીકળવાના ભયને કારણે આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમ શહેર ગ્રિંડાવિકમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તાજેતરના અઠવાડિયામાં ગ્રિંડાવિક નજીકના ફાગરાડાલ્સફજાલ જ્વાળામુખીની આસપાસ હજારો ભૂકંપ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે સાવચેતીના ભાગ રૂપે, સ્થાનિક અધિકારીઓએ શહેરમાં રહેતા હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.
"રાષ્ટ્રીય પોલીસ વડાએ ગ્રિંડાવિકની ઉત્તરે ધરતીકંપની પ્રવૃત્તિને કારણે નાગરિક સુરક્ષા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે," આઇસલેન્ડના નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું. આઈસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારથી ગુરુવારની વચ્ચે 24 કલાકમાં રિક્ટર સ્કેલ પર લગભગ 1400 ભૂકંપ નોંધાયા છે. મેટ ઓફિસના જણાવ્યા અનુસાર શુક્રવારના પ્રથમ 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા હતા.
આ પછી, ગુરુવારે અધિકારીઓએ સિસ્મિક પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે નજીકના બ્લુ લગૂન લેન્ડમાર્કને બંધ કરી દીધું. આઇસલેન્ડ મેટ ઓફિસે ભય વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેગ્મા (પીગળેલા ખડકો, જેને લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે) ભૂગર્ભમાં ફેલાય છે અને તે પૃથ્વીની સપાટીને ફાટીને ગમે ત્યારે બહાર આવી શકે છે. આઇસલેન્ડની નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે ગ્રિંડાવિકને ખાલી કરવાનો નિર્ણય IMO દ્વારા મેગ્મા શહેરમાં પહોંચી શકે તેવી શક્યતા ઊભી કર્યા પછી લેવામાં આવ્યો હતો.
આઇસલેન્ડ સૌથી સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ
આશરે 4,000 લોકોની વસ્તી ધરાવતા શહેરના મોટાભાગના રસ્તાઓ ઈમરજન્સી સિવાયના અન્ય કારણોસર બંધ છે. આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ છે. અહીં લગભગ 30 સક્રિય જ્વાળામુખી છે. જુલાઈમાં, ફાગરાદલ્સફજાલનો નાનો હ્રતુર, અથવા નાનો રામ, જ્વાળામુખી ફાટી નીકળ્યો, જેણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષ્યા. 2021, 2022 અને 2023માં અહીં સતત જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. આ પહેલા આ જ્વાળામુખી આઠ સદીઓથી નિષ્ક્રિય હતો.