મ્યાનમારની સેનાએ મંગળવારે દેશમાં સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમમાં એકત્ર થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી છે. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ આને ચિંતાજનક ઘટના ગણાવી છે. મૃતકોમાં મહિલાઓ અને 20-30 બાળકોનો સમાવેશ થાય છે.
એક પ્રત્યક્ષદર્શીએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે સાગિંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પાજીગી ગામની બહાર એકઠા થયેલા ટોળા પર ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. રાજ્ય દેશના બીજા સૌથી મોટા શહેર, મંડલયની ઉત્તરે આશરે 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ સમયે મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા.
આ પ્રદર્શનોને ડામવા માટે સેના લોકો પર બળપ્રયોગ કરી રહી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ છે. સેનાએ ફેબ્રુઆરી 2021માં આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારથી, સૈન્યએ તેમના શાસન સામેના વિરોધને ડામવા માટે વારંવાર હવાઈ હુમલાઓ કર્યા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે લગભગ અડધા કલાક પછી હેલિકોપ્ટરમાંથી ગોળી ચલાવવામાં આવી. વિપક્ષી જૂથ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) એ એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી સૈન્ય દ્વારા આ ઘૃણાસ્પદ કૃત્ય નિર્દોષ નાગરિકો સામે તેમના અંધાધૂંધ બળના ઉપયોગનું બીજું ઉદાહરણ છે. એનયુજી પોતાને સૈન્યના વિરોધમાં દેશની કાયદેસર સરકાર ગણાવે છે. મંગળવારે ખોલવામાં આવેલ જૂથની ઓફિસ તેના વહીવટી નેટવર્કનો એક ભાગ હતી.