passport police verification: જરૂર હશે તો પોલીસ તમારા ઘરે આવશે, તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી | Moneycontrol Gujarati
Get App

passport police verification: જરૂર હશે તો પોલીસ તમારા ઘરે આવશે, તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

એડ્રેસ વેરિફિકેશનના નામે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી વહીવટ કરાતો હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ ડીજીપી લૉ એન્ડ ઓર્ડરે પરિપત્ર બહાર પાડીને કરી સ્પષ્ટતા

અપડેટેડ 12:00:08 PM Nov 23, 2023 પર
Story continues below Advertisement
passport police verification: નવી ગાઈડલાઈન અનુસાર, અરજદારને કોઈપણ સંજોગોમાં પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી.

passport police verification: પાસપોર્ટ માટે એપ્લિકેશન કરનારા વ્યક્તિનું વેરિફિકેશન કરવા માટે અરજદારને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હોય છે, પરંતુ ખરેખર નિયમો અનુસાર આવું કશુંય કરવાનું જ નથી હોતું. હજુ ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદના પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ લેતા નિયમ વિરૂદ્ધ અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવાતા હોવાનું જાણવા મળ્યા બાદ જવાબદાર પોલીસકર્મી સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ અરજદારોને પોલીસ સ્ટેશન જ બોલાવવામાં આવતાં હતાં, તેવામાં હવે રાજ્યના લૉ એન્ડ ઓર્ડર ડીજીપી ડૉ. શરમશેર સિંઘે એક પરિપત્ર બહાર પાડીને આ પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે તાકીદ કરી છે. ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરવામાં આવેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે પાસપોર્ટના અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવાની કોઈ જરૂર નથી, એટલું જ નહીં પોલીસે માત્ર અરજદારની નાગરિકતા અને તેનો કોઈ ગુનાઈત ભૂતકાળ છે કે કેમ તેની જ ચકાસણી કરવાની હોય છે, અને તેના એડ્રેસનું વેરિફિકેશન કરવું જરૂરી નથી.

જો કોઈ ચોક્કસ કારણોસર પાસપોર્ટ મેળવવા ઈચ્છતા કોઈ વ્યક્તિનું ફિઝિકલ વેરિફિકેશન જરૂરી હોય તો તેને પોલીસ સ્ટેશને બોલાવવાને બદલે જવાબદાર પોલીસકર્મીએ તેના ઘરે જવાનું રહેશે તેવી તાકિદ પણ આ પરિપત્રમાં કરાઈ છે. નવી ગાઈડલાઈન અનુસાર, અરજદારને કોઈપણ સંજોગોમાં પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. સૂત્રોનું માનીએ તો ઘણીવાર અરજદારને પોલીસ સ્ટેશને બોલાવીને તેની પાસેથી વહીવટ પણ કરવામાં આવતો હતો તેમજ તેમને ધક્કા પણ ખવડાવવામાં આવતા હતા અને આ અંગેની ઘણી ફરિયાદો ઉચ્ચસ્તર સુધી પણ પહોંચી હતી. આ સિવાય વેરિફિકેશન વિઝિટ વખતે અરજદાર ઘરે ના હોવાનો રિપોર્ટ મોકલી દેવામાં આવતો હોવાના કારણે ઘણા લોકોની પાસપોર્ટ એપ્લિકેશન પણ રિજેક્ટ થઈ જતી હતી, અને લોકોને પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાવાનો વારો આવતો હતો, તેમજ તેમનો પાસપોર્ટ ઈશ્યૂ થવામાં પણ ઘણો સમય વિતિ જતો હતો.

સુરતના એક RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા પાસપોર્ટ વેરિફિકેશનની પ્રોસેસ માટે પોલીસ સ્ટેશન જવું ફરજિયાત છે કે કેમ તે જાણવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને RTI એપ્લિકેશન કરવામાં આવી હતી. જેના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે અરજદાર ભારતનો નાગરિક છે કે કેમ અને તેનો કોઈ ગુનાઈત ઈતિહાસ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે જ પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે. આ ઉપરાંત, અરજદારને પોલીસ સ્ટેશન જવાની કે પછી કોઈ ફોર્મમાં સહી કરવાની જરૂર નથી અને જરૂર હોય તો પોલીસે અરજદારના ઘરે જવાનું રહેશે તેવી સ્પષ્ટતા પણ RTI હેઠળ અપાયેલા આ જવાબમાં કરવામાં આવી હતી. સુરતના આ RTI એક્ટિવિસ્ટે તેમને મળેલા જવાબની માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. નવેમ્બર ૨૦૧૮માં અમદાવાદ RPO દ્વારા આ અંગે તમામ જિલ્લા તેમજ મહાનગરોના પોલીસ વડાને એક પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને લઈને સ્પષ્ટ ગાઈડલાઈન્સ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય હમણા સુધી પોલીસ પાસપોર્ટના અરજદારોને રૂબરૂ જ પોલીસ સ્ટેશન બોલાવવાનો આગ્રહ રાખતી હતી.


આ પણ વાંચો - Gujarat weather: માવઠા બાદ પડશે કડકડતી ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2023 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.