Qatar court: કતરની કોર્ટે ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓની અપીલ સ્વીકારી લીધી છે અને આ મામલે આગામી સુનાવણી ટૂંક સમયમાં થશે. નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આ વર્ષે ઓક્ટોબરમાં કતરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.
Qatar court: કતર કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવતા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી લીધી છે
Qatar court: ગયા વર્ષે 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતરની કોર્ટે કતરમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે બધા ચોંકી ગયા હતા. હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતર કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવતા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી લીધી છે અને આ કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ અપીલ ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.
કતરની એક કોર્ટે ગુરુવારે (23 નવેમ્બર) અપીલના દસ્તાવેજો સ્વીકાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટ અપીલનો અભ્યાસ કરી રહી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમના છેલ્લા સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારતે આ નિર્ણય સામે "પહેલેથી જ અપીલ દાખલ કરી છે".
શું છે સમગ્ર મામલો?
ગયા વર્ષે 25 ઓક્ટોબરે મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કર્યું હતું કે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતરની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન છે. આ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતરની ન્યૂઝ વેબસાઈટ અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, આ અધિકારીઓ પર ઈઝરાયેલને કતરના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી આપવાનો આરોપ છે.
જો કે, કતર સરકાર દ્વારા આ ભૂતપૂર્વ અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપો અંગે ભારત સરકાર દ્વારા કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. નેવીમાંથી નિવૃત્ત થયેલા આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતરની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડી હતી.
આ કંપની ઓમાનની એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ આઝમી દ્વારા ચલાવવામાં આવતી હતી. ગયા વર્ષે આ ભારતીયોની સાથે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે નવેમ્બરમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
કોણ છે આ ભારતીયો?
મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓના નામ છે - કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ. આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નૌકાદળમાં રહીને તેમનો કાર્યકાળ દોષરહિત રહ્યો છે અને તેઓ મહત્વના હોદ્દા પર રહ્યા છે.