સરકાર જનતા માટે અવાર નવાર સરકારી નવી સ્કીમો લાવતી રહે છે. આવી એક યોજના અટલ પેન્શન સ્કીમ (Atal Pension Yojana) સરકાર દ્વારા ચલાવાય છે. આ યોજનાને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ યોજનામાં તમે તમારી પસંદગી પ્રમાણે પ્લાન લઈ શકો છો. જો તમે આ યોજનામાં દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરશો તો નિવૃત્તિ બાદ તમને દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મળશે.
અટલ પેન્શન યોજનાની શરૂઆત વર્ષ 2015-16માં થઈ હતી. તેને નોકરી કરનાર લોકોને નિવૃત્તિ બાદ નિયમિત આવક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા ચલાવવામાં આવે છે.
18થી 40 વર્ષની ઉંમર વર્ગના નાગરિક આ યોજનાનો ભાગ બની શકે છે. પરંતુ 1 ઓક્ટોબર, 2022 બાદ એપીવાઈમાં માત્ર તે લોકો અરજી કરી શકે છે, જે ઈનકમ ટેક્સ આપતા નથી. યોજના હેઠળ એક સબ્સક્રાઇબરને 60 વર્ષ પૂરા થયા બાદ તેના યોગદાનના આધાર પર 1000થી 5000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે. સબ્સક્રાઇબરના મૃત્યુ થવા પર પેન્શનની રકમ તેના જીવનસાથીને આપવામાં આવે છે.
દર મહિને મળશે 5000નું પેન્શન
નોંધનીય છે કે ઓછા પૈસા લગાવી પેન્શનની ગેરંટી માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. અટલ પેન્શન યોજના હેઠળ એકાઉન્ટમાં દર મહિને એક નક્કી યોગદાન આપવા પર નિવૃત્તિ બાદ 1થી 5 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. વર્તમાન નિયમ અનુસાર જો 18 વર્ષની ઉંમરમાં યોજનાથી વધુમાં વધુ 5 હજાર રૂપિયા પેન્શન માટે જોડાવા ઈચ્છો છો તો તમારે દર મહિને 210 રૂપિયા આપવા પડશે. જો તે પૈસા દર ત્રણ મહિને આપો તો 626 રૂપિયા અને છ મહિને આપો તો 1239 રૂપિયા આપવા પડશે. મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરો છો તો માસિક 42 રૂપિયા આપવા પડશે.