7th Pay Commission DA Hike:1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. આવતીકાલે બુધવારે 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. આવતીકાલે સવારે 10:30 વાગ્યે કેબિનેટની બેઠક છે. જે બાદ સરકાર DAમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકાર દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપી શકે છે. મોદી સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં 3 થી 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જો DA વધે છે, તો મોંઘવારી ભથ્થું 53 અથવા 54 ટકા થઈ શકે છે. જો કે સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારવાની જાહેરાત કરશે, પરંતુ તેને 1 જુલાઈથી જ લાગુ ગણવામાં આવશે. ઑક્ટોબરના પગારમાં 3 મહિનાના ડીએનું એરિયર્સ આવશે. દિવાળી બોનસ પણ આવશે.
કેન્દ્રીય કર્મચારીઓનું DA વધીને 54% થશે
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એક આવશ્યક ઘટક છે, જે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ પર આધારિત છે. જો આ વખતે 3%નો વધારો થાય છે, તો જેમનો મૂળ પગાર ₹18,000 છે. તેમને માસિક DA ₹9,000 થી વધારીને ₹9,540 મળશે. જો તેમાં 4%નો વધારો થાય તો તે ₹9,720 સુધી પહોંચી શકે છે.
તહેવારોની સિઝનમાં રાહતની આશા
ઓક્ટોબરમાં ડીએ વધારાની જાહેરાત તહેવારોની સિઝન દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત પૂરી પાડવાની અપેક્ષા છે. આ વધારો મોંઘવારી સામે લડવામાં મદદરૂપ થશે અને 1 કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને તેનો સીધો લાભ મળશે. સરકારનું ફોકસ હાલમાં ડીએ વધારવા અને મોંઘવારી પર નિયંત્રણ છે, પરંતુ આઠમા પગાર પંચને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં કર્મચારીઓ નવરાત્રિ નિમિત્તે ડીએમાં વધારાની ભેટની રાહ જોઈ રહ્યા છે.