ભારતમાં કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે સામાન્ય લોકોના જીવન પર સીધી અસર કરશે.
August 2025 rules: ઓગસ્ટ 2025ની શરૂઆત સાથે, ભારતમાં કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જે સામાન્ય લોકોના જીવન પર સીધી અસર કરશે. આ નિયમો UPI, SBI ક્રેડિટ કાર્ડ અને FASTag સાથે સંબંધિત છે. ચાલો, આ નવા નિયમો વિશે વિગતવાર જાણીએ, જે તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે.
બેલેન્સ ચેક કરવા પર મર્યાદા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 ઓગસ્ટ, 2025થી UPI એપ્સ જેવી કે Google Pay, PhonePe અને Paytm માટે નવો નિયમ લાગુ કરી રહ્યું છે. આ નિયમ અનુસાર, હવે યુઝર્સ દરેક UPI એપ પર એક દિવસમાં માત્ર 50 વખત જ પોતાનું બેલેન્સ ચેક કરી શકશે. અગાઉ આવી કોઈ મર્યાદા ન હતી, અને યુઝર્સ ગમે તેટલી વખત બેલેન્સ ચેક કરી શકતા હતા. આ નવો નિયમ વ્યસ્ત સમય દરમિયાન સર્વર પરના લોડને ઘટાડવા માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. જો તમે રોજ બેલેન્સ ચેક કરવાની આદત ધરાવો છો, તો આ નિયમ તમારા માટે મહત્વનો છે.
ભારતીય સ્ટેટ બેન્કની સબસિડિયરી કંપની SBI Card 11 ઓગસ્ટ 2025થી પોતાના ગ્રાહકો માટે એક મહત્વનો ફેરફાર લાવી રહી છે. SBI Card Elite, SBI Card Miles અને SBI Card Miles Prime પર અત્યાર સુધી મળતું 1 કરોડ રૂપિયાનું ફ્રી એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર અને SBI Card Prime તથા SBI Card Pulse પર મળતું 50 લાખ રૂપિયાનું ફ્રી એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર હવે બંધ થશે. આ ફેરફારથી SBI કાર્ડ યુઝર્સને તેમની ઈન્શ્યોરન્સ યોજનાઓનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે.
FASTag એન્યુઅલ પાસ: ટોલ પેમેન્ટ હવે વધુ સરળ
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 15 ઓગસ્ટ, 2025થી FASTag એન્યુઅલ પાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પાસની કિંમત 3000 રૂપિયા હશે, અને તે એક વર્ષ માટે માન્ય રહેશે. આ પાસનો ઉપયોગ કરીને યુઝર્સ એક વર્ષમાં મહત્તમ 200 ટોલ પ્લાઝા ક્રોસ કરી શકશે. આ નવી પહેલનો ઉદ્દેશ્ય ટોલ પેમેન્ટને વધુ સરળ બનાવવાનો અને હાઈવે પર નિયમિત મુસાફરી કરનારાઓ માટે ખર્ચ-અસરકારક વિકલ્પ પૂરો પાડવાનો છે. જો તમે નિયમિત રીતે હાઈવે પર મુસાફરી કરો છો, તો આ પાસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શું હશે અસર?
UPIમાં બેલેન્સ ચેક કરવાની મર્યાદાને કારણે યુઝર્સે પોતાની ટ્રાન્ઝેક્શન આદતોમાં ફેરફાર કરવો પડશે. SBI કાર્ડ યુઝર્સે ફ્રી એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ બંધ થવાથી ગ્રાહકોએ અન્ય ઈન્શ્યોરન્સ વિકલ્પો શોધવા પડશે. FASTag યુઝર્સે એન્યુઅલ પાસથી નિયમિત મુસાફરોને ખર્ચ બચત અને સગવડ મળશે. આ નવા નિયમો 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યા છે, તેથી તમારા નાણાકીય અને મુસાફરીના પ્લાનને તે મુજબ તૈયાર કરો.