1 લાખ રૂપિયાની FD કરાવવી કે ઘર પર સોલર લગાવવું? ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન, સમજો આખું ગણિત
PM Surya Ghar Yojana: તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને કન્ફ્યુઝ છો કે FD કરાવવી કે ઘર પર સોલર લગાવવું? પીએમ સૂર્ય ઘર યોજના અને FD ના રિટર્નનું સંપૂર્ણ ગણિત સમજો અને યોગ્ય નિર્ણય લો.
જો તમે સોલર પેનલ લગાવવામાં 1.20 લાખ રૂપિયા ખર્ચ્યા છે અને તમારી વર્ષે 30000 રૂપિયાની બચત થઈ રહી છે, તો માત્ર 4 વર્ષમાં જ તમારો આખો ખર્ચ વસૂલ થઈ જશે.
PM Surya Ghar Yojana: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને દર મહિને આવતું વીજળીનું બિલ સામાન્ય માણસનું બજેટ બગાડી રહ્યું છે. આવા સમયે, મિડલ ક્લાસ પરિવારો પોતાની મહેનતની કમાણી એવી જગ્યાએ રોકવા માંગે છે જ્યાં તેમને સુરક્ષિત અને સૌથી બેસ્ટ રિટર્ન મળી શકે. લોકો રોકાણના જૂના અને જાણીતા રસ્તા એટલે કે બેંક FD માં તો રોકાણ કરતા જ આવ્યા છે, પરંતુ આજકાલ એક નવો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ખૂબ ટ્રેન્ડમાં છે, અને તે છે - ઘરની છત પર સોલર પેનલ લગાવવી.
વડાપ્રધાન સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થયા પછી આ ચર્ચા વધુ તેજ બની છે, કારણ કે સરકાર સોલર પેનલ લગાવવા પર 78000 રૂપિયા સુધીની તગડી સબસિડી આપી રહી છે. જો તમારી પાસે પણ 1 લાખ રૂપિયાની બચત છે, તો તેને બેંકમાં જમા કરવા સારા કે છત પર સોલર લગાવવું? ચાલો આ બંનેના નફાનું આખું ગણિત એકદમ સરળ ભાષામાં સમજીએ.
પહેલા સમજો બેંક FD નો નફો
ધારો કે તમે 100000 રૂપિયાની રકમને કોઈ સુરક્ષિત સરકારી કે પ્રાઇવેટ બેંકમાં 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ (FD) કરી દો છો. અત્યારે બેંકો સરેરાશ 7% વાર્ષિક વ્યાજ આપી રહી છે.
શરૂઆતનું રોકાણ: 100000 રૂપિયા
વાર્ષિક વ્યાજ દર: 7% (કમ્પાઉન્ડિંગ સાથે)
5 વર્ષ પછી કુલ રકમ: અંદાજે 140000 રૂપિયા
ચોખ્ખો નફો: 5 વર્ષમાં તમને 40000 રૂપિયાનો ફાયદો થશે. જોકે, એ ધ્યાનમાં રાખો કે આ વ્યાજની કમાણી પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ (TDS) લાગી શકે છે, જેથી તમારું અસલી રિટર્ન થોડું ઘટી જશે.
હવે સમજો સોલર પેનલનું ગણિત
જો તમારા ઘરનું વીજળી બિલ દર મહિને 2500 થી 3000 રૂપિયાની વચ્ચે આવે છે, તો તમારા પરિવાર માટે 3KW નું સોલર સિસ્ટમ સૌથી બેસ્ટ રહેશે. 3KW સોલર સિસ્ટમનો કુલ અંદાજિત ખર્ચ 180000થી 200000 રૂપિયા જેટલો આવે છે. કેન્દ્ર સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 3KW સિસ્ટમ પર 78000 રૂપિયાની ડાયરેક્ટ સબસિડી આપે છે. આ રીતે તમારો ખરેખર (Net) ખર્ચ 100000 થી 122000 રૂપિયા આસપાસ થાય છે, જેમાં અલગ-અલગ રાજ્યો અને કંપનીઓ મુજબ થોડો ફેરફાર હોઈ શકે છે.
દર મહિને ખિસ્સામાં કેટલા પૈસા બચશે?
સામાન્ય રીતે 3KW નું સોલર સિસ્ટમ મહિને 300 થી 400 યુનિટ વીજળી આસાનીથી પેદા કરે છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ્ય પણ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનો છે.
જો તમારું બિલ પહેલા 2500 રૂપિયા આવતું હતું, તો સોલર લગાવ્યા પછી તમારી વાર્ષિક બચત કંઈક આ રીતે થશે:
2500 રૂપિયા x 12 મહિના = 30000 રૂપિયા વાર્ષિક બચત
એટલે કે માત્ર વીજળી બિલ બચાવીને તમે દર વર્ષે 30000 રૂપિયાની સીધી કમાણી કરી રહ્યા છો.
કેટલા વર્ષમાં વસૂલ થશે પૂરો ખર્ચ?
જો તમે સોલર પેનલ લગાવવામાં 1.20 લાખ રૂપિયા ખર્ચ્યા છે અને તમારી વર્ષે 30000 રૂપિયાની બચત થઈ રહી છે, તો માત્ર 4 વર્ષમાં જ તમારો આખો ખર્ચ વસૂલ થઈ જશે. સોલર પેનલની લાઈફ સામાન્ય રીતે 25 વર્ષની હોય છે. તેનો અર્થ એ કે, 4 વર્ષ પછી આવનારા 21 વર્ષ સુધી મળતી વીજળી તમારા માટે સાવ મફત હશે, જેની સરખામણી બેંકની કોઈ પણ FD સાથે કરી શકાય નહીં.
સોલર લગાવતા પહેલા આ 3 વાતોનું ધ્યાન રાખો:
1) છત પર જગ્યા: 3KW નું સિસ્ટમ લગાવવા માટે તમારી છત પર ઓછામાં ઓછી 250 થી 300 સ્ક્વેર ફૂટની ખુલ્લી જગ્યા હોવી જોઈએ, જ્યાં તડકો સારો આવતો હોય.
2) સાચો વેન્ડર: સબસિડીનો લાભ લેવા માટે હંમેશા સરકારના નેશનલ પોર્ટલ પર રજિસ્ટર્ડ હોય તેવા ઓથોરાઈઝ્ડ વેન્ડર પાસે જ સોલર લગાવડાવો.
3) લોનની સુવિધા: જો તમારી પાસે રોકાણ માટે એકસાથે પૈસા નથી, તો ઘણી સરકારી બેંકો આ યોજના માટે બહુ ઓછા વ્યાજ દરે 'સોલર લોન' પણ આપી રહી છે.
આખરે પૈસા ક્યાં રોકવા?
જો તમારો મુખ્ય હેતુ પૈસાને એવી રીતે રાખવાનો છે કે જરૂર પડે ત્યારે તરત ઉપાડી શકાય (Liquidity) અને તમારા ઘરે વીજળીનું બિલ બહુ જ ઓછું આવે છે, તો બેંક FD તમારા માટે સીધો અને સુરક્ષિત રસ્તો છે.
પરંતુ, જો તમારું વીજળીનું બિલ દર મહિને 2000 રૂપિયાથી વધારે આવે છે અને તમારી પાસે છત ખાલી પડી છે, તો 1 લાખ રૂપિયા બેંકમાં રાખવા કરતા છત પર સોલર પેનલ લગાવવી એ વધુ સમજદારી અને મોટા નફાવાળો સોદો છે. FD તમને મર્યાદિત વ્યાજ આપશે, જ્યારે સોલર પેનલ તમારા દર મહિનાના ખર્ચને ખતમ કરીને આવનારા 25 વર્ષ માટે તમને આત્મનિર્ભર બનાવી દેશે.