Public Provident Fund-PPF: નોકરિયાત, સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને EPFO દ્વારા આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે PPFએ રોકાણનો સારો વિકલ્પ છે. આ સિવાય જે લોકો પાસે નોકરી નથી, જેઓ બિઝનેસ કરી રહ્યા છે તેઓ પણ PPFમાં રોકાણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, PPF સ્કીમને 15 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રાખી શકાય છે, જેથી મેચ્યોરિટીના સમયે મોટું ફંડ બનાવી શકાય. પરંતુ જો PPF ધારક 15 વર્ષની અંદર મૃત્યુ પામે તો શું ? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?
મૃત્યુ થવા પર PPFનું શું થશે?
ધારો કે કોઈ વ્યક્તિ PPFમાં 15 વર્ષ માટે રોકાણ કરે છે. તે દર મહિને કે વર્ષમાં એકવાર તેના રોકાણમાં નાણાં મૂકે છે. જો આ દરમિયાન પીપીએફ ધારકનું મૃત્યુ ગમે ત્યારે થાય છે એટલે કે 8 કે 10 વર્ષ પછી, નોમિનીને સંપૂર્ણ પૈસા મળે છે. 15 વર્ષની પરિપક્વતાનો નિયમ તેને લાગુ પડતો નથી. નોમિનીને પૈસા આપ્યા બાદ પીપીએફ ખાતું બંધ કરી દેવામાં આવે છે.
નોમિની સાથે કેવી રીતે થાય છે સેટલમેન્ટ?
નિયમો મુજબ મૃત્યુના દાવાની પતાવટ અનેક કારણોના આધારે કરવામાં આવે છે. જો દાવાની રકમ 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોય, તો મૃત્યુ પ્રમાણપત્ર, સંબંધના પુરાવા અથવા કાનૂની પુરાવાના આધારે નોમિનેશન સેટલમેન્ટ કરી શકાય છે. તે ઓથોરીટી પર આધાર રાખે છે. જો પૈસા 5 લાખ રૂપિયાથી વધુ હોય તો કાનૂની પુરાવા લાગુ કરવા જરૂરી છે.
PPF એ એક વિકલ્પ છે જેનો ઉપયોગ રોકડની જરૂરિયાત અથવા નાણાકીય કટોકટીના સમયે કરી શકાય છે. તમારા PPF નાણાને બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માટે, તમારે PPF અને બચત ખાતાની વિગતો સાથે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક ફોર્મ સબમિટ કરવું પડશે. આ ઉપરાંત ફોર્મની સાથે અસલ પાસબુક અને કેન્સલ ચેક પણ જમા કરાવવાના રહેશે. તે પછી PPF ના પૈસા પાકતી મુદત પછી તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
PPF પર મળે છે આ લાભ
સરકાર PPF પર વ્યાજ દર નક્કી કરે છે. આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. પીપીએફમાં રોકાણ કરનારા રોકાણકારોને ત્રણ રીતે કર લાભ મળે છે. પીપીએફમાં રોકાણ કરાયેલા નાણાં પર કર કપાતના લાભ સિવાય વ્યાજ અને પાકતી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.
પીપીએફ હોય છે ટેક્સ ફ્રી
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબા ગાળા માટે રોકાણનો સારો વિકલ્પ માનવામાં આવે છે. પીપીએફમાં રોકાણ સંપૂર્ણપણે સલામત છે અને તે કર મુક્તિનો સંપૂર્ણ લાભ પણ આપે છે. નોકરી કરતા લોકો માટે આ એક સારો વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ, તેના પર મળતું વ્યાજ અને પાકતી મુદત પૂરી થવા પર મળેલી રકમ, આ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે કે, ક્યાંય પણ ટેક્સ નથી અને તેમાં કોઈપણ પ્રકારનું જોખમ પણ નથી.