RBIએ રેપો રેટ ઘટાડ્યો, પણ હોમ લોનના વ્યાજમાં બેન્કો ઘટાડો નથી કરતી, જાણો મહત્વની બાબતો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે તો પણ બેન્કો તેનો ફાયદો તમામ ગ્રાહકોને તુરંત આપતી નથી. પરિણામે, ગ્રાહકોની સમાન માસિક હપ્તા (EMI)માં ઘટાડો થતો નથી.
નિષ્ણાંતોના મતે, ગ્રાહકો પાસે લોન ટેકઓવરનો વિકલ્પ પણ છે.
ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે નીતિગત વ્યાજ દર એટલે કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 6 ટકા કરવાની જાહેરાત કરી. રેપો રેટમાં ઘટાડાને સામાન્ય રીતે એવી અપેક્ષા સાથે જોવામાં આવે છે કે આગામી દિવસોમાં લોન લેવાનો ખર્ચ ઘટશે અને EMIમાં રાહત મળશે. જોકે, ઘણી વખત ગ્રાહકોને તેનો તાત્કાલિક લાભ મળતો નથી. માત્ર ફ્લોટિંગ-રેટ લોન જ રેપો રેટ સાથે જોડાયેલી હોય છે, પરંતુ તેના પર પણ રેપો રેટમાં ફેરફારની તાત્કાલિક અસર થતી નથી, કારણ કે આવી લોન દર ત્રણ કે છ મહિનાના ચોક્કસ અંતરાલે રીસેટ થાય છે.
ફિક્સ્ડ-રેટ અને ફ્લોટિંગ-રેટ લોન
લોન બે પ્રકારની હોય છે: ફિક્સ્ડ-રેટ લોન અને ફ્લોટિંગ-રેટ લોન. ફિક્સ્ડ-રેટ લોનમાં વ્યાજ દર આખી મુદત દરમિયાન એકસમાન રહે છે, જ્યારે ફ્લોટિંગ-રેટ લોનના વ્યાજ દર RBIના નિર્ણયોના આધારે બદલાતા રહે છે. જો RBI રેપો રેટ ઘટાડે, તો ફ્લોટિંગ-રેટ લોન લેનારા ગ્રાહકોને તેનો લાભ મળી શકે છે.
નિષ્ણાતો શું કહે છે?
જો RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી પણ ફ્લોટિંગ-રેટ હોમ લોનનો વ્યાજ દર યથાવત રહે તો શું કરવું? આ સવાલ પર ‘વોઈસ ઓફ બેન્કિંગ’ના સ્થાપકે જણાવ્યું કે, જો કોઈ ગ્રાહક પાસે ફ્લોટિંગ-રેટ હોમ લોન હોય અને રેપો રેટ ઘટવા છતાં તેનો વ્યાજ દર ન બદલાય, તો તેણે બેન્ક સાથે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. જો બેન્ક સહયોગ ન કરે, તો ગ્રાહક RBIનો સંપર્ક કરી શકે છે.
ફિક્સ્ડ કે ફ્લોટિંગ - કયું સારું?
નિષ્ણાતોના મતે, આ બેન્કો દ્વારા હાલમાં આપવામાં આવતા વ્યાજ દર પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, હાલમાં વ્યાજ દર ઓછો છે, તેથી ગ્રાહકોએ ફિક્સ્ડ-રેટ લોન પસંદ કરવી જોઈએ. RBIએ આ 25 બેસિસ પોઈન્ટનો બીજો રેપો રેટ ઘટાડો કર્યો છે. ભવિષ્યમાં એક વધુ ઘટાડાની અપેક્ષા છે, પરંતુ તેનાથી આગળ નહીં, કારણ કે તે ફિક્સ્ડ ડિપોઝિટ પર અસર કરશે, જે બેન્કોની લિક્વિડિટીનો આધાર છે. તેથી, જો કોઈ હવે હોમ લોન લેવા જઈ રહ્યું હોય, તો તેને ફિક્સ્ડ-રેટ લોન લેવાની સલાહ છે.
લોન ટેકઓવરનો ઓપ્શન
નિષ્ણાંતોના મતે, ગ્રાહકો પાસે લોન ટેકઓવરનો વિકલ્પ પણ છે. જોકે, આ વિકલ્પ પસંદ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમ કે વ્યાજ દરનો તફાવત, બાકીની મુદત, પ્રોસેસિંગ ફી અને અન્ય મહત્વની બાબતો. આ બધું સારી રીતે સમજીને જ નિર્ણય લેવો જોઈએ.