Budget 2026: મિડલ ક્લાસના હાથ ખાલી! ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, શેરબજારના રોકાણકારોને પણ મોટો ઝટકો - જાણો વિગત
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કર્યું છે, પરંતુ મિડલ ક્લાસને નિરાશા સાંપડી છે. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં અને ખેડૂતો-સિનિયર સિટીઝન્સને પણ રાહત નથી. જાણો કઈ 5 આશાઓ પર પાણી ફરી વળ્યું.
બજેટમાં રેલવે કોરિડોરની વાત થઈ પણ ભાડામાં છૂટની કોઈ વાત થઈ નહીં. સાથે જ તેમના માટે TDS કપાતના નિયમોમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી.
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું આર્થિક બજેટ 2026 સંસદમાં રજૂ કરી દીધું છે. 53 લાખ કરોડ રૂપિયાથી પણ મોટા કદના આ બજેટમાં 7 નવા રેલ કોરિડોર અને ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી કરવા જેવા સારા નિર્ણયો લેવાયા છે. પરંતુ, સામાન્ય માણસ, નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ જે મોટી રાહતોની આશા રાખીને બેઠો હતો, તે આશાઓ આ બજેટમાં પૂરી થઈ નથી.
ચાલો જાણીએ કે એવી કઈ 5 મોટી બાબતો છે, જેમાં સામાન્ય જનતા અને રોકાણકારોને નિરાશા હાથ લાગી છે.
1. ઈન્કમ ટેક્સમાં કોઈ નવી રાહત નહીં
નોકરિયાત વર્ગને સૌથી મોટી આશા ઈન્કમ ટેક્સમાં હતી. ગયા બજેટમાં નવી ટેક્સ રિજીમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 'ઝીરો ટેક્સ' ની જાહેરાત થઈ હતી. લોકો આશા રાખી રહ્યા હતા કે આ વખતે આ લિમિટ વધારીને 14 લાખ રૂપિયા કરવામાં આવશે. પરંતુ સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, જેનાથી મધ્યમ વર્ગ નિરાશ થયો છે.
2. નવી ટેક્સ સિસ્ટમમાં રોકાણ પર છૂટ નહીં
કરદાતાઓ આશા રાખી રહ્યા હતા કે સરકાર નવી ટેક્સ રિજીમ (New Tax Regime) ને આકર્ષક બનાવવા માટે PPF, NPS અને ELSS જેવા રોકાણો પર ટેક્સમાં છૂટ આપશે. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી છૂટ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) માં જ મળશે, જ્યાં કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. નવી સિસ્ટમમાં કોઈ ફેરફાર કરાયો નથી.
3. ખેડૂતો માટે PM કિસાન રકમમાં વધારો નહીં
દેશના જગતના તાત ગણાતા ખેડૂતોને આશા હતી કે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવામાં આવશે. પરંતુ બજેટમાં આ રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, પાકોના ટેકાના ભાવ (MSP) ને લઈને પણ કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી.
4. સિનિયર સિટીઝન્સને રેલવે ટિકિટમાં રાહત નહીં
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે કોરોના સમયે બંધ થયેલી રેલવે ટિકિટમાં મળતી છૂટ ફરી શરૂ થશે. પરંતુ બજેટમાં રેલવે કોરિડોરની વાત થઈ પણ ભાડામાં છૂટની કોઈ વાત થઈ નહીં. સાથે જ તેમના માટે TDS કપાતના નિયમોમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી.
5. શેરબજારના રોકાણકારોને મોટો ઝટકો
આ બજેટ શેરબજારના રોકાણકારો માટે કડવું સાબિત થયું છે. F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ) ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દેવામાં આવ્યો છે, જ્યારે આશા એવી હતી કે તેમાં ઘટાડો થશે. આ ઉપરાંત, લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) ટેક્સમાં પણ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, જેનાથી બજારમાં નિરાશા છે.