ઉદ્યોગકારોનું માનવું છે કે કોર્પોરેટ સેક્ટરની જેમ તેમને પણ ટેક્સમાં રાહત મળવી જોઈએ.
Budget 2026: દેશભરમાં અત્યારે બજેટને લઈને જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. રેલવે હોય, ખેતી હોય કે પછી નોકરિયાત વર્ગ, દરેકની નજર આ બજેટ પર ટકેલી છે. જોકે, આ વખતે દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME સેક્ટરને સરકાર પાસેથી મોટી આશાઓ છે.
બજેટ સત્ર 2026 નું ટાઈમ ટેબલ
સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરી, 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) ને સંયુક્ત રીતે સંબોધન કરીને સત્રની શરૂઆત કરશે. આ સત્ર બે તબક્કામાં યોજાશે:
પહેલો તબક્કો: 28 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી.
બીજો તબક્કો: 9 માર્ચ થી 2 એપ્રિલ સુધી.
બજેટના એક દિવસ પહેલા નાણામંત્રી દ્વારા આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરવામાં આવશે અને રવિવાર, 1 ફેબ્રુઆરીએ તેઓ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરશે.
MSME સેક્ટરની શું છે માંગ?
ઉદ્યોગકારોનું માનવું છે કે કોર્પોરેટ સેક્ટરની જેમ તેમને પણ ટેક્સમાં રાહત મળવી જોઈએ.
1. ઇન્કમ ટેક્સમાં ઘટાડો થવો જોઈએ
એક MSME ઉદ્યોગ સાહસિકે જણાવ્યું હતું કે, "અત્યારે ઇન્ડસ્ટ્રી માટે ફ્લેટ 25% ઇન્કમ ટેક્સ છે. મારી એવી માંગ છે કે MSME માટે આ દર ઘટાડીને 15% કરવો જોઈએ." તેમણે વધુમાં સમજાવ્યું કે જો ટેક્સ ઓછો હશે તો તેમની પાસે રોકડ રકમ બચશે, જેનો ઉપયોગ તેઓ બિઝનેસ વધારવા માટે કરી શકશે. અત્યારે તેમને બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે તેઓ લોન લેવા જાય છે, ત્યારે બેંકો કોલેટરલ (ગીરો મુકવાની સંપત્તિ) માંગે છે અને એટલી બધી શરતો મૂકે છે કે લોન લેવી મુશ્કેલ બની જાય છે. જેના કારણે નાના ઉદ્યોગોનો ગ્રોથ અટકી જાય છે.
2. મહિલા સાહસિકો માટે ખાસ સપોર્ટની જરૂર
બીજી તરફ, ફર્સ્ટ જનરેશનના મહિલા ઉદ્યોગ સાહસિકે સરકાર પાસે ખાસ સ્કીમની માંગ કરી છે. તેમણે કહ્યું કે, "નવા સાહસિકો, ખાસ કરીને મહિલાઓ માટે કોલેટરલ ફ્રી લોન (કોઈપણ ગીરો વગરની લોન) અને ટર્મ લોનની વ્યવસ્થા હોવી જોઈએ."
તેમણે એ પણ ઉમેર્યું કે માત્ર પૈસા કે ગ્રાન્ટ આપવાથી કામ નથી ચાલતું. નવા બિઝનેસને સફળ બનાવવા માટે 'મેન્તટરશિપ' અને 'હેન્ડ હોલ્ડિંગ' (માર્ગદર્શન અને સાથ) ની ખૂબ જરૂર હોય છે. ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સરકાર તરફથી આવો સપોર્ટ મળે તો જ 'વિકસિત ભારત'નું સપનું સાકાર થઈ શકશે.
હવે જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે નાણામંત્રી પોતાની લાલ પોથી ખોલશે, ત્યારે MSME સેક્ટરની આ મુરાદો પૂરી થાય છે કે કેમ.