RBIના નવા નિયમથી લોન લેનારાઓનો બોજ વધશે? જાણો શું છે રિવોલ્વિંગ ક્રેડિટ અને કેમ FIDC કરી રહ્યું છે તેનો સખત વિરોધ
RBI દ્વારા NBFCની રિવોલ્વિંગ ક્રેડિટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો FIDCએ વિરોધ કર્યો છે. જાણો શું છે આ સુવિધા અને તેનાથી MSME ને શું નુકસાન થશે.
રિવોલ્વિંગ ક્રેડિટ એ બેંક કે ધિરાણકર્તા અને ગ્રાહક વચ્ચેની એક ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન છે. જેમાં ગ્રાહકને એક નિશ્ચિત ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ આ પ્રકારની સુવિધાનું જ એક બેસ્ટ ઉદાહરણ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક નવા પ્રસ્તાવને કારણે ફાઈનાન્સ સેક્ટરમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. FIDCએ RBIને પત્ર લખીને રિવોલ્વિંગ ક્રેડિટ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે અને તેના પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. FIDCનું માનવું છે કે જો આ સુવિધા બંધ થશે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ આખો મામલો શું છે અને આ રિવોલ્વિંગ ક્રેડિટ શું બલા છે.
શું છે રિવોલ્વિંગ ક્રેડિટની સુવિધા?
રિવોલ્વિંગ ક્રેડિટ એ બેંક કે ધિરાણકર્તા અને ગ્રાહક વચ્ચેની એક ફ્લેક્સિબલ ક્રેડિટ લાઇન છે. જેમાં ગ્રાહકને એક નિશ્ચિત ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ આ પ્રકારની સુવિધાનું જ એક બેસ્ટ ઉદાહરણ છે. આમાં વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ક્રેડિટ લિમિટ હોય છે. તમે જેટલી રકમનો ઉપયોગ કરો છો, માત્ર તેના પર જ વ્યાજ ચૂકવવું પડે છે, આખી લિમિટ પર નહીં. પૈસા ચૂકવ્યા પછી તમે ફરીથી તે લિમિટનો ઉપયોગ કરી શકો છો. આ માટે દર વખતે નવી લોન માટે અરજી કરવાની જરૂર પડતી નથી.
ઉદાહરણથી સમજો,,,ધારો કે તમારી ક્રેડિટ લિમિટ 5 લાખ રૂપિયા છે. તેમાંથી તમે જરૂરિયાત મુજબ 2 લાખ રૂપિયા વાપર્યા. તો તમારે વ્યાજ માત્ર આ 2 લાખ રૂપિયા પર જ ચૂકવવાનું રહેશે. હવે જો તમે 1 લાખ રૂપિયા પાછા જમા કરાવી દો છો, તો તમારી પાસે ફરીથી વાપરવા માટે 4 લાખ રૂપિયાની લિમિટ ઉપલબ્ધ થઈ જશે.
RBI નો પ્રસ્તાવ અને બદલાતા નિયમો
હાલમાં RBI એ રિવોલ્વિંગ ક્રેડિટ પર રોક લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ નિયમ લાગુ થશે તો નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ હવે ગ્રાહકોને માત્ર 'ટર્મ લોન' જ આપી શકશે અને રિવોલ્વિંગ સુવિધા ફક્ત ક્રેડિટ કાર્ડ કંપનીઓ પૂરતી સીમિત રહી જશે. આ નવા નિયમો અંગે RBI દ્વારા 28 ઓગસ્ટ 2026 સુધી લોકોના અને નિષ્ણાતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે.
FIDC કેમ કરી રહ્યું છે વિરોધ ?
FIDC એ પોતાના પત્રમાં સ્પષ્ટતા કરી છે કે NBFC દ્વારા અપાતા ઓવરડ્રાફ્ટને ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે સરખાવવો યોગ્ય નથી. તેમના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. ફરીથી પૈસા ઉપાડવા પર રોક લાગવાથી ગ્રાહકને ભવિષ્યની જરૂરિયાત ધારીને પહેલાથી જ વધારે લોન લેવી પડશે, જે બિનજરૂરી છે. જો જરૂરિયાત મુજબ પૈસા ઉપાડવાની છૂટ નહીં હોય, તો ગ્રાહકો પર ખોટો વ્યાજનો અને લોનનો બોજ વધશે. વારંવાર નવી લોન લેવાથી પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચાઓ વધશે. જો NBFC ની આ સરળ પ્રોડક્ટ બંધ થઈ જશે, તો MSME સેક્ટરના વેપારીઓને તાત્કાલિક નાણાંકીય જરૂરિયાત માટે સ્થાનિક સાહુકારો કે વ્યાજખોરો પાસે જવા મજબૂર થવું પડશે, જે લાંબા ગાળે અર્થતંત્ર માટે નુકસાનકારક છે.