Iran Currency Crisis: ઈરાનમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે. ઈરાની કરન્સી રિયાલ ઐતિહાસિક તળિયે પહોંચી ગઈ છે.
ઈરાન કરન્સી સંકટ: ઈસ્લામિક દેશ ઈરાન અત્યારે ભયંકર આંતરિક અને આર્થિક મુસીબતોનો સામનો કરી રહ્યો છે. ત્યાંની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેની સ્થાનિક કરન્સી 'રિયાલ'ની કિંમત સાવ તળિયે બેસી ગઈ છે. બુધવારે ઈરાની મુદ્રામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સ્થાનિક મુદ્રા કારોબારીઓના જણાવ્યા મુજબ, હવે 1 અમેરિકન ડૉલર ખરીદવા માટે 16 લાખ રિયાલ ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ઘટાડો કેટલો ઝડપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે જ રિયાલ 15 લાખ પ્રતિ ડૉલરના સ્તરે પહોંચ્યો હતો અને માત્ર 24 કલાકમાં તે વધુ ગગડીને 16 લાખ પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને વિરોધ પ્રદર્શનોને એક મહિનો પૂરો થયો છે, ત્યાં જ આ કરન્સી ક્રેશના સમાચાર સામે આવ્યા છે.
28 ડિસેમ્બરથી ભડકી હતી આગ
ઈરાનમાં આ ખરાબ પરિસ્થિતિની શરૂઆત 28 ડિસેમ્બરના રોજ થઈ હતી. રિયાલની કિંમતમાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શન દેશના ખૂણેખૂણે ફેલાઈ ગયું હતું. ખાસ કરીને રાજધાની તેહરાનના પ્રખ્યાત 'ગ્રાન્ડ બજાર'માં વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા. આ વેપારીઓ અને સામાન્ય જનતા કમરતોડ મોંઘવારી, રિયાલની ઘટતી કિંમત અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ તથા ઈંધણ પરથી સરકારી સબસિડી હટાવવાના નિર્ણયથી નારાજ હતા. આ ગુસ્સો સરકાર વિરોધી પ્રદર્શનોમાં ફેરવાઈ ગયો છે.
હજારો લોકોના મોતનો દાવો
ઈરાન સરકારે આ પ્રદર્શનોને ડામવા માટે ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે. દેશમાં સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ ચોંકાવનારા છે:
માનવાધિકાર કાર્યકરોનો દાવો: પ્રદર્શનકારીઓ પર સરકારની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6221 લોકોના મોત થયા છે.
સરકારનો દાવો: બીજી તરફ ઈરાન સરકારનું કહેવું છે કે આ અશાંતિમાં 3117 લોકો માર્યા ગયા છે. જેમાં 2427 સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળના જવાનો હતા, જ્યારે બાકીના લોકોને સરકારે આતંકવાદી ગણાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીની અસર
ઈરાનની કરન્સી તૂટવા પાછળ માત્ર આંતરિક કારણો જ જવાબદાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની જે ધમકી આપવામાં આવી હતી, તેણે પણ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ ધમકીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રિયાલનું ધોવાણ થયું છે.
જોકે, આશ્ચર્યની વાત એ છે કે ઈરાનની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર અબ્દોલનાસર હેમ્મતીએ મંગળવારે એવું નિવેદન આપ્યું હતું કે "વિદેશી મુદ્રા ભંડાર પોતાના સામાન્ય રસ્તે ચાલી રહ્યું છે," જે જમીની હકીકત કરતા તદ્દન અલગ દેખાઈ રહ્યું છે.