Nepal floods update: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 1100 થી વધુ લોકોના મોત થયા છે. રસુવા વિસ્તારની કોપિલા નામની યુવતીએ પોતાના પરિવારના 17 સભ્યો ગુમાવ્યા. જાણો નેપાળ પૂરનો આ હૃદયદ્રાવક લેટેસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ.
રસુવા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. અહીં રહેતી કોપિલા તમાંગ નામની યુવતી માટે આ પૂર કાળ બનીને આવ્યું. પૂરના કારણે કોપિલાએ પોતાના પરિવારના 17 સભ્યો ગુમાવી દીધા છે, જેમાં એક માત્ર 1 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. તેની માતા, બહેન અને દાદી પણ આ પૂરમાં તણાઈ ગયા.
Nepal floods update: પડોશી દેશ નેપાળમાં આવેલી ભયાનક આફતે હજારો પરિવારોની જિંદગી છીનવી લીધી છે. હિમાલયના વિસ્તારોમાં આવેલા આ વિનાશક પૂરના કારણે ઘર, રસ્તા અને પુલ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકો પોતાના ઘર છોડીને કામચલાઉ રાહત છાવણીઓમાં રહેવા મજબૂર બન્યા છે. આ આખી દુર્ઘટનામાં રસુવા વિસ્તારની એક યુવતીની કહાની એટલી હૃદયદ્રાવક છે, જે સાંભળીને કોઈની પણ આંખમાં આંસુ આવી જશે.
અમેરિકન ન્યૂઝ ચેનલ CNN ના રિપોર્ટ અનુસાર, નેપાળમાં અચાનક આવેલા આ પૂરમાં મૃત્યુઆંક 1100ને પાર કરી ગયો છે. ચાલો જાણીએ આ હોનારતની ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ.
એક જ ઝટકામાં આખો પરિવાર ખતમ થઈ ગયો
રસુવા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. અહીં રહેતી કોપિલા તમાંગ નામની યુવતી માટે આ પૂર કાળ બનીને આવ્યું. પૂરના કારણે કોપિલાએ પોતાના પરિવારના 17 સભ્યો ગુમાવી દીધા છે, જેમાં એક માત્ર 1 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. તેની માતા, બહેન અને દાદી પણ આ પૂરમાં તણાઈ ગયા.
ખાસ વાત એ છે કે, કોપિલાના પરિવારે 2015માં આવેલા ભયાનક ભૂકંપનો સામનો પણ કર્યો હતો. તે સમયે તેમનું ઘર તૂટી ગયું હતું, પણ પરિવારે હિંમત હાર્યા વગર નવું ઘર બનાવ્યું હતું. પરંતુ આ વખતે પૂરે તેમનું આ નવું ઘર પણ છીનવી લીધું. ઘટના સમયે કોપિલા કાઠમંડુમાં હતી. જ્યારે તેને પૂરની જાણ થઈ, ત્યારે તે તરત જ પાછી ફરી, પરંતુ ત્યાં સુધીમાં બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. હવે તેની પાસે પરિવારની યાદોના નામે મોબાઈલ ફોનમાં રહેલા ફોટા જ બચ્યા છે. તેનો 7 વર્ષનો નાનો ભાઈ હજુ સમજી જ નથી શકતો કે તેની માતા હવે ક્યારેય પાછી નહીં આવે. કોપિલા કહે છે કે હવે તેણે પોતાના નાના ભાઈ માટે મજબૂત બનવું પડશે.
રાહત છાવણીઓમાં રાત પડતા જ સતાવે છે ડર
જે લોકો આ પૂરમાંથી બચી ગયા છે, તેમને હાલ પૂરતા સ્કૂલો અને અધૂરી ઈમારતોમાં બનાવેલી રાહત છાવણીઓમાં રાખવામાં આવ્યા છે. પરંતુ લોકોના મનમાં ડર એટલો બેસી ગયો છે કે રાત પડે એટલે તેઓને ફરી પૂર આવવાની બીક લાગે છે. ઘણા લોકો પાણી વધવાની ચેતવણી મળતા જ સુરક્ષિત જગ્યાની શોધમાં જંગલ અને પહાડી વિસ્તારો તરફ ભાગી જાય છે. એક 17 વર્ષના યુવકે જણાવ્યું કે તેણે પણ પોતાના બે નાના ભાઈ-બહેનોને આ પૂરમાં ગુમાવ્યા છે. કેમ્પમાં રાત પડતા જ લોકો પોતાના સ્વજનોને યાદ કરીને રડી પડે છે, ઘણા લોકો માટે તો ઊંઘવું પણ મુશ્કેલ બની ગયું છે.
બાળકોની સ્થિતિ સૌથી વધુ દયનીય
આ હોનારતમાં બાળકોની મુશ્કેલીઓ ખૂબ જ ગંભીર છે. એક 13 વર્ષની બાળકી પૂરના સમયે પોતાના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી અને ઘણા સમય સુધી તેને ખબર જ નહોતી કે તેના માતા-પિતા ક્યાં છે. UNICEFના આંકડા મુજબ, 26 ઓગસ્ટના રોજ આવેલા આ પૂરથી નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ વિસ્તારમાં ઓછામાં ઓછા 17000 બાળકો પ્રભાવિત થયા છે. ઘણા સ્કૂલો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કેટલાક બાળકો તો સ્કૂલેથી પાછા ફરતી વખતે પૂરની ચપેટમાં આવી ગયા હતા અને જીવ બચાવવા માટે તેમને ઝાડ પર ચઢવું પડ્યું હતું.
મૃત્યુઆંક 1100ને પાર: જાણો લેટેસ્ટ આંકડાકીય માહિતી
બુધવાર સુધીના લેટેસ્ટ આંકડા મુજબ, નેપાળમાં અચાનક આવેલા આ પૂરમાં મૃત્યુઆંક 1127 થઈ ગયો છે. એક અઠવાડિયા પછી પણ હજારો લોકો લાપતા છે અને રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે.
ક્યાં કેટલા મૃતદેહ મળ્યા?
* ચિતવન: 348
* નવલપરાસી પૂર્વ: 217
* નવલપરાસી પશ્ચિમ: 190
* નુવાકોટ: 155
* ગોરખા: 66
* ધાદિંગ: 59
* રસુવા: 45
* તનાહૂં: 38
પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1113 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે અને 95 મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવાયા છે. જેમની ઓળખ નથી થઈ શકી તેવા 911 મૃતદેહોની વિગતો નેપાળ પોલીસની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 6541 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. જ્યારે 4858 લાપતા લોકોની શોધ હજુ ચાલુ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં 7912 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ બોર્ડર પાસે બરફ અને ખડકો ધસી પડવાને કારણે આ અચાનક પૂર આવ્યું હતું. જેણે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક ગામોમાં ભયંકર તબાહી મચાવી છે. લોકો સામે હવે ફક્ત ઘર જ નહીં, પરંતુ આખી જિંદગી નવેસરથી ઊભી કરવાનો મોટો પડકાર છે.