આ સમગ્ર વિવાદની શરૂઆત 'ઇન-સ્પેસ'ના ચેરમેન પવન કુમાર ગોયંકાના એક નિવેદન પછી થઈ છે. એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યમાં ઇસરો કોઈપણ લોન્ચ વ્હીકલ એટલે કે રોકેટ બનાવવાનું કામ નહીં કરે. આ બધું જ કામ ખાનગી ક્ષેત્ર અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગને સોંપી દેવામાં આવશે.
ISRO employees protest: સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મુકાયાના 6 વર્ષ પછી હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના કર્મચારીઓમાં ડર, અનિશ્ચિતતા અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઇસરોના 9 અલગ-અલગ કર્મચારી યુનિયનોએ ભેગા મળીને સરકાર અને મેનેજમેન્ટ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 4 સપ્ટેમ્બરના રોજ લખાયેલા એક સંયુક્ત પત્રમાં કર્મચારીઓએ ઇસરોના મેન્યુફેક્ચરિંગ અને ઓપરેશનલ કામો ખાનગી કંપનીઓને સોંપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
વિવાદ ક્યાંથી શરૂ થયો?
આ સમગ્ર વિવાદની શરૂઆત 'ઇન-સ્પેસ'ના ચેરમેન પવન કુમાર ગોયંકાના એક નિવેદન પછી થઈ છે. એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યમાં ઇસરો કોઈપણ લોન્ચ વ્હીકલ એટલે કે રોકેટ બનાવવાનું કામ નહીં કરે. આ બધું જ કામ ખાનગી ક્ષેત્ર અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગને સોંપી દેવામાં આવશે.
પત્રમાં જણાવ્યા અનુસાર, આ માત્ર વાતો નથી રહી પણ અમલ પણ શરૂ થઈ ગયો છે. સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV) નું કામ પહેલેથી જ ટ્રાન્સફર થઈ ચૂક્યું છે અને હવે PSLV તથા LVM3 જેવા ઇસરોના મુખ્ય રોકેટ બનાવવાનું કામ પણ પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
9 કર્મચારી યુનિયનો આવ્યા મેદાનમાં
દેશભરમાં ફેલાયેલા ઇસરોના મુખ્ય કેન્દ્રોના કર્મચારીઓ આ ખાનગીકરણના વિરોધમાં એકસાથે આવ્યા છે. ઇસરોના અધ્યક્ષ અને અંતરિક્ષ વિભાગ (DoS) ના સચિવ વી. નારાયણનને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં 9 યુનિયનોએ સહી કરી છે. આ યુનિયનોમાં શ્રીહરિકોટાનું શાર એમ્પ્લોઇઝ એસોસિએશન, બેંગલુરુનું ઇસએક એસોસિએશન, તિરુવનંતપુરમનું એલપીએસસી સ્ટાફ એસોસિએશન, અમદાવાદનું સેક (SAC) એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન, મહેન્દ્રગિરીનું આઈપીઆરસી એસોસિએશન, તેમજ એનઆરએસએ અને બીબીયુના યુનિયનો સામેલ છે.
કર્મચારીઓની મુખ્ય ચિંતા અને માંગણીઓ શું છે?
મુખ્ય ઓળખ છીનવાઈ જવાનો ડર: કર્મચારીઓનું કહેવું છે કે રોકેટ અને સેટેલાઈટ બનાવવું એ કોઈ સામાન્ય 'કોન્ટ્રાક્ટ કે એસેમ્બલી'નું કામ નથી. આ ઇસરોની મુખ્ય તાકાત અને ઓળખ છે. તેને ખાનગી હાથમાં સોંપવી યોગ્ય નથી.
રોડમેપનો અભાવ: સરકાર કે અંતરિક્ષ વિભાગ તરફથી ખાનગીકરણ અંગેનો કોઈ જ સત્તાવાર રોડમેપ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે વૈજ્ઞાનિકો, ટેક્નિશિયન અને વહીવટી સ્ટાફ તેમજ તેમના પરિવારોમાં ભારે તણાવ છે.
રિસર્ચ અને નોકરીઓ પર ખતરો: જો બધું જ કામ બહારની કંપનીઓને આપી દેવામાં આવશે તો ઇસરોનું પોતાનું ઇન-હાઉસ રિસર્ચ ખરાબ રીતે પ્રભાવિત થશે.
નવી ભરતીઓ બંધ થશે: ખાનગીકરણને કારણે સરકારી મંજૂર થયેલી જગ્યાઓ ઘટશે, જેનાથી ભવિષ્યમાં યુવાનો માટે ઇસરોમાં સરકારી નોકરી મેળવવાના રસ્તા કાયમ માટે બંધ થઈ જશે.
ઇસરોના હજારો કર્મચારીઓએ હવે પત્ર દ્વારા સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. કર્મચારીઓની માંગ છે કે સરકાર પોતાની ખાનગીકરણની નીતિ, તેના કાનૂની આધારો અને અત્યારે કામ કરી રહેલા સ્ટાફના અધિકારોની સુરક્ષા વિશે તાત્કાલિક સ્થિતિ સ્પષ્ટ કરે. હવે જોવું એ રહ્યું કે અંતરિક્ષ વિભાગ અને ઇસરો મેનેજમેન્ટ પોતાના જ કર્મચારીઓના આ અસંતોષને કેવી રીતે દૂર કરે છે.