UGCના નવા નિયમો પર હોબાળો: 'ઇક્વિટી કમિટી' શું છે અને કેમ જનરલ કેટેગરીમાં છે નારાજગી? જાણો સંપૂર્ણ વિગત
UGC New Rules, Equity Committee: UGCના નવા નિયમોને લઈને વિવાદ કેમ છે? 'ઇક્વિટી કમિટી'માં કોનો સમાવેશ થયો અને કોણ રહી ગયું? જનરલ કેટેગરી કેમ નારાજ છે અને શું છે આખો મામલો? જાણો આ ખાસ અહેવાલમાં.
UGC New Rules, Equity Committee: હાલમાં ઉચ્ચ શિક્ષણ જગતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોને લઈને ભારે હોબાળો મચી ગયો છે.
UGC New Rules, Equity Committee: હાલમાં ઉચ્ચ શિક્ષણ જગતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોને લઈને ભારે હોબાળો મચી ગયો છે. વાત એટલી હદે વણસી છે કે આ નિયમોના વિરોધમાં બરેલીના સિટી મેજિસ્ટ્રેટ દ્વારા રાજીનામું પણ આપી દેવામાં આવ્યું છે. એક તરફ સરકાર શિક્ષણમાં સમાનતા લાવવાની વાત કરી રહી છે, તો બીજી તરફ લોકો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. આખરે આ નવા નિયમો શું છે અને તેનાથી કોને ડર સતાવી રહ્યો છે? ચાલો વિગતે સમજીએ.
કેમ બનાવવામાં આવ્યા આ નવા નિયમો?
આ આખા મામલાની શરૂઆત રોહિત વેમુલા કેસથી થઈ હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ દૂર કરવા માટે કડક નિયમો બનાવવા જોઈએ. આ આદેશનું પાલન કરતા UGC એ આ મહિનામાં 'UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026' (UGC Promotion of Equity Regulations, 2026) જારી કર્યા છે.
અગાઉના ડ્રાફ્ટમાં માત્ર SC (અનુસૂચિત જાતિ) અને ST (અનુસૂચિત જનજાતિ)ના વિદ્યાર્થીઓને જ જાતિગત ભેદભાવથી સુરક્ષા મળતી હતી. પરંતુ નવા નિયમોમાં મોટો ફેરફાર કરીને હવે તેમાં OBC (અન્ય પછાત વર્ગ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિવાદનું એક કારણ બન્યું છે.
'ઇક્વિટી કમિટી' પર કેમ છે વિવાદ?
નવા નિયમો મુજબ, દરેક કોલેજ અને યુનિવર્સિટીએ ફરજિયાતપણે એક 'ઇક્વિટી કમિટી' બનાવવી પડશે. વિવાદનું મુખ્ય કારણ આ કમિટીની રચના છે. નિયમ અનુસાર આ કમિટીમાં SC, ST, OBC, મહિલા અને દિવ્યાંગ વર્ગના પ્રતિનિધિઓ હોવા ફરજિયાત છે. પરંતુ, આ કમિટીમાં સામાન્ય વર્ગ (General Category)ના પ્રતિનિધિ માટે કોઈ ફરજિયાત જોગવાઈ રાખવામાં આવી નથી. લોકોનો રોષ એ વાત પર છે કે જો કમિટીમાં સામાન્ય વર્ગનું કોઈ પ્રતિનિધિત્વ જ નહીં હોય, તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?
કડક સજા અને 24 કલાકમાં એક્શન
UGC એ ભેદભાવ રોકવા માટે ખૂબ જ કડક જોગવાઈઓ કરી છે. SC, ST અને OBC સભ્યો સાથે કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન 'ભેદભાવ' ગણાશે. સંસ્થાએ 24/7 હેલ્પલાઇન અને ઓનલાઇન ફરિયાદ પોર્ટલ શરૂ કરવું પડશે. ફરિયાદ મળે એટલે સંસ્થાના વડાની અધ્યક્ષતાવાળી ઇક્વિટી કમિટીએ 24 કલાકની અંદર એક્શન લેવું પડશે. તપાસનો રિપોર્ટ 15 દિવસ માં આપવો પડશે. જો કોલેજ કે યુનિવર્સિટી આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમનું અનુદાન (Grant) રોકી શકાય છે અથવા તેમની ડિગ્રી આપવાની સત્તા પણ છીનવી શકાય છે.
દુરુપયોગનો ડર અને જનરલ કેટેગરીની ચિંતા
આ નિયમોનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ઇક્વિટી કમિટીમાં સામાન્ય વર્ગના સભ્ય ન હોવાથી એકતરફી નિર્ણય લેવાઈ શકે છે. સૌથી મોટો ડર એ છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો થઈ શકે છે. જૂના નિયમોમાં ખોટી ફરિયાદ કરનાર સામે સજાની જોગવાઈ હતી, પરંતુ નવા નિયમોમાંથી તે હટાવી દેવામાં આવી હોવાનો દાવો વિરોધ પક્ષ કરી રહ્યો છે. આનાથી બ્લેકમેલિંગ અને હેરાનગતિ વધવાની શક્યતા છે.
સરકાર અને ભલામણ સમિતિનો તર્ક
બીજી બાજુ, સરકારનો પક્ષ છે કે ઉચ્ચ શિક્ષણમાં માત્ર SC/ST જ નહીં, પરંતુ OBC વિદ્યાર્થીઓ પણ ભેદભાવનો શિકાર બને છે. દિગ્વિજય સિંહના નેતૃત્વવાળી સંસદીય શિક્ષણ સમિતિએ ભલામણ કરી હતી કે OBC વિદ્યાર્થીઓને પણ સુરક્ષાના દાયરામાં લાવવા જોઈએ. આ ભલામણને આધારે જ નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
હાલમાં આ મુદ્દો ગરમાયો છે અને લોકો સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી આની ચર્ચા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધ બાદ UGC આમાં કોઈ સુધારો કરે છે કે નહીં.