સંસદમાં હંગામો: લોકસભા અને રાજ્યસભામાં 'એન્ટી પેપર લીક બિલ 2026' પાસ, વિપક્ષના ભારે હોબાળા બાદ ગૃહ સ્થગિત
લોકસભા અને રાજ્યસભામાં ધ્વનિ મતથી 'એન્ટી પેપર લીક બિલ 2026' પસાર થઈ ગયું છે. જોકે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
બિલ પાસ થયા બાદ ગૃહમાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના પરિણામે સ્પીકરે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી હતી.
Anti Paper Leak Bill 2026 passed: દેશમાં પેપર લીકની ઘટનાઓ પર કડક રોક લગાવવા માટે સરકાર દ્વારા એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજે સંસદમાં કડક જોગવાઈઓ ધરાવતું એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. જોકે, આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ અને હોબાળો જોવા મળ્યો હતો.
લોકસભામાં બિલ પાસ, પણ કાર્યવાહી સ્થગિત
આજે લોકસભામાં 'ધ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026' (જેને એન્ટી પેપર લીક બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે) ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પરની ચર્ચાનો જવાબ સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યો હતો. પોતાના સંબોધન દરમિયાન તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. બિલ પાસ થયા બાદ ગૃહમાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના પરિણામે સ્પીકરે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દીધી હતી.
કોંગ્રેસના નિશાના પર શિક્ષણ મંત્રી
હાલમાં કોંગ્રેસ પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણ મંત્રીને ઘેરવા પર કેન્દ્રિત થયેલું જોવા મળી રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ ગૃહની અંદર શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જ્યારે રાહુલ ગાંધીએ ગૃહની બહાર શિક્ષણ મંત્રી પર નિશાન સાધ્યું હતું. આ મામલે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વલણને ચારિત્ર્ય હનનનો પ્રયાસ ગણાવીને આકરી ટીકા કરી હતી. નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધીએ કરેલી ટિપ્પણીઓને ગૃહના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે. તેમ છતાં, પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના નિવેદનને સાબિત કરશે. આ બાબતને લઈને આજે પણ ગૃહનો માહોલ ગરમાયેલો રહી શકે છે, કારણ કે રાહુલ ગાંધી પણ આ ચર્ચામાં ભાગ લેવાના છે.
અન્ય વિપક્ષી નેતાઓએ પણ સરકારને ઘેરી
આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો. આ સિવાય અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને તેમના પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારતમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને તાજેતરમાં બાંગ્લાદેશ અને નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનો સાથે સરખાવ્યું હતું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને ત્યારબાદ થયેલા તેમના સ્વાગત પર કટાક્ષ કર્યો હતો.
રાજ્યસભામાંથી પણ બિલ પસાર
લોકસભામાં આ બિલ પાસ થયા બાદ, રાજ્યસભામાં પણ 'એન્ટી પેપર લીક બિલ' ને લીલી ઝંડી મળી ગઈ છે. બંને ગૃહોમાંથી આ બિલ પસાર થવું એ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની એક મોટી જીત માનવામાં આવી રહી છે. ભવિષ્યમાં કોઈપણ સરકારી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ કાયદો ખૂબ જ કડક સાબિત થશે.