સીએસ શેટ્ટીએ જણાવ્યું કે, "RBI એ દેશનો ગ્રોથ રેટ 6.9 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. પરંતુ, SBI ના પોતાના આંકડા મુજબ આ ગ્રોથ 6.6 ટકા રહી શકે છે.
RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 3 જૂનથી શરૂ થઈ ચૂકી છે. આ બેઠકના નિર્ણયો 5 જૂને જાહેર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાહેરાત પહેલા દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન સીએસ શેટ્ટીએ મોટું નિવેદન આપ્યું છે. મનીકંટ્રોલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં અર્થતંત્રના ગ્રોથ અને મોંઘવારીની સ્થિતિ જોતા વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. માર્કેટના અન્ય નિષ્ણાતો પણ SBI ના આ મત સાથે સહમત છે.
દેશનો આર્થિક વિકાસ 6.6 ટકા રહેવાનો અંદાજ
સીએસ શેટ્ટીએ જણાવ્યું કે, "RBI એ દેશનો ગ્રોથ રેટ 6.9 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. પરંતુ, SBI ના પોતાના આંકડા મુજબ આ ગ્રોથ 6.6 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર 4.6 થી 4.7 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આ આંકડાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે અત્યારે વ્યાજદર સાથે કોઈ છેડછાડ ન કરવી તે જ યોગ્ય નિર્ણય રહેશે."
જો રેપો રેટ વધશે તો બેંકોની મુશ્કેલી વધશે
SBI ના ચેરમેનનું એમ પણ માનવું છે કે ભવિષ્યમાં રેપો રેટ વધવાની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ જો આવું થશે, તો બેંકો માટે કપરી સ્થિતિ ઊભી થશે. તેમણે સમજાવ્યું કે, અગાઉ વધેલા રેપો રેટની અસર લોનના વ્યાજદર પર તો પડી ગઈ છે, પરંતુ લોકો બેંકમાં જે થાપણો મૂકે છે, તેના વ્યાજદર પર હજુ તેની પૂરી અસર જોવા મળી નથી. જ્યાં સુધી બેંકો પોતાના નફાના માર્જિન સાથે બાંધછોડ કરવા તૈયાર ન થાય, ત્યાં સુધી ડિપોઝિટ પર વ્યાજદર વધારવાની કોઈ જ ગુંજાઈશ નથી.
જો રેપો રેટ વધે તો બોન્ડ યીલ્ડ તરત જ ઉછળી જશે અને ગ્રાહકો ડિપોઝિટ પર વધુ વ્યાજની અપેક્ષા રાખશે. આનાથી છેવટે બેંકો માટે લોન આપવી વધુ મોંઘી બની જશે. છેલ્લા 3 વર્ષથી બેંકો આ પડકારનો સામનો કરી રહી છે.
લોનની માંગમાં જબરદસ્ત ઉછાળો
સામાન્ય રીતે નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેંકોનો બિઝનેસ થોડો ધીમો હોય છે, પરંતુ આ વખતે ક્રેડિટ ગ્રોથ ખૂબ જ મજબૂત રહ્યો છે, જે એક આશ્ચર્યજનક બાબત છે. SBI ની ધારણા મુજબ બેંકોનો ક્રેડિટ ગ્રોથ 13 થી 15 ટકા અને ડિપોઝિટ ગ્રોથ 10 થી 11 ટકા રહી શકે છે. જો લોનની માંગ આનાથી વધુ રહેશે અને સામે રેપો રેટ પણ વધશે તો બેંકો પર ડિપોઝિટ ભેગી કરવાનું ભારે દબાણ આવશે.
5 જૂને RBI ગવર્નરની જાહેરાત પર સૌની નજર
આગામી 5 જૂને શુક્રવારે સવારે 10 વાગ્યે RBI ગવર્નર સંજય મલ્હોત્રા મોનેટરી પોલિસીની સત્તાવાર જાહેરાત કરશે. આ પોલિસી એવા સમયે આવી રહી છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. આ મોંઘા ક્રૂડને કારણે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ, LPG, PNG અને CNG ના ભાવ વધાર્યા છે.