સામાન્ય રીતે સરકાર પોતાની કંપનીઓમાં હિસ્સો વેચવા માટે OFSનો રસ્તો પસંદ કરતી હોય છે, પરંતુ SAIL આ વખતે FPO લાવવાની તૈયારીમાં છે. OFS દ્વારા જ્યારે સરકાર પોતાના શેર વેચે છે, ત્યારે તેમાંથી મળેલા તમામ પૈસા સીધા ભારત સરકારના ખાતામાં જાય છે, કંપનીને તેનો કોઈ સીધો લાભ મળતો નથી. FPO હેઠળ કંપની સામાન્ય જનતા માટે નવા ઇક્વિટી શેર બહાર પાડે છે. આનાથી જે પણ રકમ એકઠી થાય છે, તે સીધી કંપનીની બેલેન્સ શીટમાં જાય છે. કંપની આ પૈસાનો ઉપયોગ પોતાના બિઝનેસને મોટો કરવામાં કરી શકે છે. હાલમાં SAIL માં ભારત સરકારનો 65 ટકા હિસ્સો છે. જ્યારે નવા શેર બજારમાં આવશે ત્યારે સરકારની હિસ્સેદારીમાં થોડો ઘટાડો ચોક્કસ થશે, પરંતુ આ પ્રક્રિયાથી સરકારને કોઈ સીધી આવક નહીં થાય. પૂરેપૂરી રકમ કંપનીના ખાતામાં જ જશે.