Mutual Fund: SIP બંધ કરવી એ મોટી ભૂલ નથી, પણ સવાલ એ છે કે ક્યારે બંધ કરવી? જાણો શું કહે છે એક્સપર્ટ
SIP Investment: શું તમે તમારી SIP બંધ કરવાનું વિચારી રહ્યા છો? ડેટા મુજબ મોટાભાગના લોકો 3-5 વર્ષમાં SIP અટકાવી દે છે. જાણો કયા સંજોગોમાં SIP બંધ કરવી સમજદારી છે અને ક્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
દરેક રોકાણ પાછળ એક લક્ષ્ય હોય છે. જો તમે કોઈ ચોક્કસ ગોલ માટે SIP શરૂ કરી હોય અને તે ગોલ જ બદલાઈ જાય, તો તમે SIP બંધ કરી શકો છો. ઉદા
SIP Investment: આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP (Systematic Investment Plan) દ્વારા રોકાણ કરવું ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મોટાભાગના લોકો જ્યારે SIP શરૂ કરે છે, ત્યારે તેઓ એવું વિચારે છે કે તેઓ લાંબા ગાળા સુધી રોકાણ ચાલુ રાખશે અને મોટું ફંડ બનાવશે. પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે.
મોટાભાગની SIP 3-5 વર્ષ પણ નથી ચાલતી
એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) ના ડેટા પર નજર કરીએ તો એક ચોંકાવનારી વાત સામે આવે છે. મોટાભાગની SIP 3 થી 5 વર્ષનો સમયગાળો પણ પૂરો કરી શકતી નથી. ઘણા કિસ્સામાં તો રોકાણ શરૂ કર્યા પછી માર્કેટમાં જ્યારે પહેલો મોટો ઘટાડો આવે છે, ત્યારે જ રોકાણકારો ગભરાઈને SIP બંધ કરી દે છે. લાંબા ગાળા સુધી શિસ્તબદ્ધ રીતે રોકાણ ચાલુ રાખનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. અહીં એ સમજવું જરૂરી છે કે રોકાણકારો હંમેશા જાણીજોઈને આવું નથી કરતા. ઘણીવાર પેપર પર બનાવેલો ફાઇનાન્શિયલ પ્લાન અને જિંદગીની વાસ્તવિકતા અલગ હોય છે.
SIP ક્યારે બંધ કરવી મજબૂરી બની જાય છે?
જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે SIP બંધ કરવી એક મજબૂરી બની જાય છે. અચાનક આવી પડેલો મોટો ખર્ચ અથવા આવકમાં ઘટાડો તેનું કારણ હોઈ શકે છે. આ સિવાય, જ્યારે શેરબજારમાં મોટો ઘટાડો આવે ત્યારે રોકાણકાર ડરી જાય છે. પોર્ટફોલિયોમાં રિટર્ન નેગેટિવ દેખાય ત્યારે એવું લાગે છે કે પૈસા વધવાને બદલે ઘટી રહ્યા છે, અને આ ડરના કારણે લોકો SIP બંધ કરી દે છે.
જોકે, એક્સપર્ટ્સનું માનવું છે કે માર્કેટ તૂટે ત્યારે SIP બંધ ન કરવી જોઈએ, કારણ કે ત્યારે તમને નીચા ભાવે વધારે યુનિટ્સ મળે છે, જે ભવિષ્યમાં ફાયદો કરાવે છે. તો પછી SIP ક્યારે બંધ કરવી જોઈએ? ચાલો જાણીએ.
1. આવક સ્થિર ન હોય ત્યારે
ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સના મતે, જો તમારી આવક અચાનક અસ્થિર થઈ ગઈ હોય અથવા તમારી પાસે પૂરતું ઈમરજન્સી ફંડ ન હોય, તો SIP બંધ કરવી સમજદારીભર્યું પગલું ગણી શકાય. આવી સ્થિતિમાં પરાણે રોકાણ ચાલુ રાખવાથી આર્થિક સુરક્ષા મળવાને બદલે માનસિક દબાણ વધે છે. જ્યારે તમારી આર્થિક ગાડી પાટા પર ચડી જાય, ત્યારે તમે ફરીથી રોકાણ શરૂ કરી શકો છો.
2. રોકાણનો લક્ષ્યાંક બદલાઈ જાય ત્યારે
દરેક રોકાણ પાછળ એક લક્ષ્ય હોય છે. જો તમે કોઈ ચોક્કસ ગોલ માટે SIP શરૂ કરી હોય અને તે ગોલ જ બદલાઈ જાય, તો તમે SIP બંધ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ઘરના ડાઉનપેમેન્ટ માટે પૈસા ભેગા કરવા SIP કરતા હોવ, પણ હવે ઘર ખરીદવાનો પ્લાન મોકૂફ રાખ્યો હોય કે બદલાઈ ગયો હોય, તો તમે તે SIP બંધ કરી શકો છો. તમારા બદલાયેલા ફાઇનાન્શિયલ પ્લાન મુજબ તમે રોકાણને બેલેન્સ કરી શકો છો.
3. ફંડનું પ્રદર્શન સતત ખરાબ રહેતું હોય
જો તમે જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું છે, તેના રિટર્નથી તમે નિરાશ હોવ તો SIP બંધ કરવાનો વિચાર કરી શકાય. ઘણીવાર એવું બને છે કે અન્ય હરીફ ફંડ્સની સરખામણીમાં તમારું ફંડ નબળું પ્રદર્શન કરતું હોય અથવા બેન્ચમાર્ક કરતાં પણ ઓછું રિટર્ન આપતું હોય. આવા સમયે તે ફંડમાં પૈસા રોકવા સમજદારી નથી.
જોકે, માત્ર 1-2 મહિનાના દેખાવને આધારે નિર્ણય ન લેવો જોઈએ. જો લાંબા સમય સુધી ફંડનું પ્રદર્શન નબળું હોય, તો જ ડેટા તપાસીને તે SIP બંધ કરી બીજી સારી સ્કીમમાં રોકાણ શરૂ કરવું જોઈએ.
SIP બંધ કરવી એ ગુનો નથી, પણ ડરના કારણે SIP બંધ કરવી એ નુકસાનકારક છે. જો તમારી આર્થિક સ્થિતિ, લક્ષ્ય અથવા ફંડના પરફોર્મન્સને લગતા નક્કર કારણો હોય, તો જ SIP અટકાવવાનો નિર્ણય લેવો જોઈએ.