બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી મોટો નિર્ણય: તારિક રહેમાને ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી
Bangladesh visa for Indians: બાંગ્લાદેશના નવા પીએમ તારિક રહેમાને મોટો નિર્ણય લેતા ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી છે. જાણો મોહમ્મદ યુનુસના ગયા પછી ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં શું બદલાવ આવ્યો છે.
Bangladesh visa for Indians: બાંગ્લાદેશના નવા પીએમ તારિક રહેમાને મોટો નિર્ણય લેતા ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરી છે.
Bangladesh visa for Indians: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા બદલાતા જ હવે નવા અને હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. નવી સરકારે ભારત સાથેના સંબંધો સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાને ભારતીય નાગરિકો માટે ફરીથી વિઝા સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શેખ હસીના સરકારના પતન પછી બંને દેશો વચ્ચે જે તણાવ ઉભો થયો હતો તે હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. નવી સરકાર સત્તામાં આવતા જ બાંગ્લાદેશનો ભારત પ્રત્યેનો અભિગમ સકારાત્મક રીતે બદલાયો છે.
દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીયો માટે વિઝા સેવા ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે આશરે 2 મહિના પહેલા બાંગ્લાદેશે ભારતીયોના વિઝા પર રોક લગાવી દીધી હતી. 3 દિવસ પહેલા જ બીએનપી નેતા તારિક રહેમાને વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તરત જ આ રાહતનો નિર્ણય લીધો છે.
આ અગાઉ મોહમ્મદ યુનુસની સરકાર વખતે બંને દેશોના સંબંધોમાં ખૂબ કડવાશ આવી ગઈ હતી. ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા થઈ ત્યારબાદ બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે સમયે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પણ વધી રહી હતી અને પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી. આ જ કારણોસર બંને દેશોએ એકબીજાના નાગરિકો માટે વિઝા સેવા બંધ કરી દીધી હતી. હવે ઢાકામાં મોહમ્મદ યુનુસની વિદાય થતા આ જૂનો તણાવ ખતમ થવાની પૂરી આશા બંધાઈ છે.
ભારતની વાત કરીએ તો હાલમાં ભારત બાંગ્લાદેશી નાગરિકોને માત્ર મેડિકલ વિઝા અને ડબલ એન્ટ્રી વિઝા જ આપે છે. જોકે બાંગ્લાદેશ તરફથી લેવાયેલા આ નવા નિર્ણય પછી શક્યતા છે કે ભારત પણ ટૂંક સમયમાં અન્ય શ્રેણીના વિઝા આપવાનું શરૂ કરી શકે છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું નવા વડાપ્રધાન તારિક રહેમાન તેમની પહેલી વિદેશ યાત્રા માટે ભારત આવશે ખરા. આ અઠવાડિયે જ તારિક રહેમાનની શપથવિધિ યોજાઈ હતી જેમાં ભારતના લોકસભા સ્પીકર ઓમ બિરલા ખાસ હાજર રહ્યા હતા. ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર તારિક રહેમાનને સોંપ્યો હતો અને તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.
સામાન્ય રીતે બાંગ્લાદેશના નવા વડાપ્રધાન પોતાની પહેલી વિદેશ યાત્રા દિલ્હીની જ કરતા હોય છે. મોહમ્મદ યુનુસે આ જૂની પરંપરા તોડીને પહેલી યાત્રા ચીનની કરી હતી. હવે એ જોવાનું ખૂબ રસપ્રદ રહેશે કે તારિક રહેમાન પોતાની પ્રથમ યાત્રા માટે કયા દેશની પસંદગી કરે છે.