Sheikh Hasina Bangladesh News: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અવામી લીગના 77માં સ્થાપના દિવસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'મારી ગેરહાજરી મૌન નથી, હું દેશમાં પરત ફરીશ'. જાણો દેશની વર્તમાન સ્થિતિ, મુહમ્મદ યુનુસ સરકાર પર પ્રહારો અને કાર્યકરો માટેના તેમના સંદેશ વિશે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અવામી લીગના 77માં સ્થાપના દિવસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'મારી ગેરહાજરી મૌન નથી, હું દેશમાં પરત ફરીશ'.
Sheikh Hasina Bangladesh News: બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક અત્યંત ભાવુક અને આક્રમક લેખ લખીને પોતાના સમર્થકો અને વિરોધીઓને સીધો સંદેશ આપ્યો છે. વર્તમાન સરકારની કાર્યવાહીઓ અને પોતાના દેશવટા વચ્ચે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "મારી ગેરહાજરી એ મારું મૌન નથી. હું ભલે દૂર છું, પરંતુ બાંગ્લાદેશના લોકોની સાથે જ છું."
અવામી લીગ પાર્ટીની 77 વર્ષની સફરના અવસરે શેખ હસીનાએ દેશના વર્તમાન વચગાળાના શાસકો પર આકરા પ્રહારો કર્યા છે અને દેશમાં ફરીથી લોકશાહી પ્રસ્થાપિત કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
અવામી લીગ: 77 વર્ષનો ઐતિહાસિક સંઘર્ષ
23 જૂન 1949ના રોજ અવામી લીગની સ્થાપના થઈ હતી. આ 77 વર્ષની સફરને યાદ કરતા હસીનાએ જણાવ્યું કે તેમની પાર્ટી કોઈ શાસકોની મનમાની કે વિદેશી તાકાતોના આશ્રયથી નથી બની. આ પાર્ટી બંગાળની માટી અને લોકોની ઓળખ સાથે જોડાયેલી છે. 1952 નું ભાષા આંદોલન હોય, 1966 નું 6-પોઇન્ટ આંદોલન હોય કે 1971 નો મહાન મુક્તિ સંગ્રામ, બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વમાં અવામી લીગે જ દેશને આઝાદી અપાવી છે.
વિકાસના કામો વિરુદ્ધ વર્તમાન સંકટ
પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું કે, અવામી લીગના શાસનમાં દેશે પદ્મા બ્રિજ, મેટ્રોરેલ, કર્ણફૂલી ટનલ અને ડિજિટલ બાંગ્લાદેશ જેવા ઐતિહાસિક પ્રોજેક્ટ્સ જોયા છે. દેશ ખાદ્યપદાર્થોમાં આત્મનિર્ભર બન્યો અને ગરીબીમાં ઘટાડો થયો. પરંતુ આજે દેશ ફરી એક મોટા સંકટમાં ધકેલાઈ ગયો છે.
મુહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વર્તમાન વચગાળાની સરકાર પર સીધું નિશાન સાધતા હસીનાએ કહ્યું કે, આ બિનચૂંટાયેલી અને ગેરબંધારણીય સરકાર છે. 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણી માત્ર એક નાટક હતું. આ ચૂંટણીમાં દેશની સૌથી મોટી પાર્ટીને દૂર રાખવામાં આવી હતી. આ માત્ર અવામી લીગ પર જ નહીં, પરંતુ બાંગ્લાદેશના લોકોના મતાધિકાર પર થયેલો સીધો હુમલો છે.
પોલીસ અને પ્રશાસનને ખુલ્લી ચેતવણી
શેખ હસીનાએ કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ તેમજ સરકારી અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ માત્ર રિપબ્લિકના કર્મચારીઓ છે, કોઈ રાજકીય પાર્ટીની જાગીર નથી. રાજકીય દબાણમાં આવીને નિર્દોષ લોકોની ધરપકડ કરવી અને ખોટા કેસ કરવા એ સત્તાનો ઘોર દુરુપયોગ છે. બંગબંધુને શ્રદ્ધાંજલિ આપવી કે "જોય બાંગ્લા" બોલવું એ કોઈ ગુનો નથી. કોઈપણ સત્તા કાયમી હોતી નથી, અન્યાયી આદેશો માનનારાઓએ ઇતિહાસ અને કાયદા સમક્ષ જવાબ આપવો જ પડશે.
કાર્યકર્તાઓને અપીલ: ડરશો નહીં, લોકોની પડખે રહો
પોતાના કાર્યકરોની પીડા સમજતા હસીનાએ કહ્યું કે, આજે અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા લોકો જેલમાં છે, ખોટા કેસોના કારણે ઘરબાર વગરના છે, ઈજાગ્રસ્ત છે અને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આમ છતાં તેઓ ઝૂક્યા નથી. તેમણે કાર્યકરોને અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં એકજૂથ રહો અને ખાસ કરીને લઘુમતીઓ, મહિલાઓ, ગરીબો અને મજૂરોની સુરક્ષા માટે અડગ રહો.
શેખ હસીનાનો સંકલ્પ: ‘હું પાછી ફરીશ'
લેખના અંતમાં શેખ હસીનાએ એક ભાવુક પરંતુ મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો છે. 1981માં જ્યારે તેઓ દેશમાં પાછા ફર્યા હતા ત્યારની યાદો તાજી કરતા તેમણે કહ્યું કે, "મેં મારા માતા-પિતા અને ભાઈઓ સહિત લગભગ સમગ્ર પરિવાર ગુમાવ્યો છે, છતાં મેં ક્યારેય દેશના લોકોને છોડ્યા નથી. હું સત્તા માટે રાજકારણ નથી કરતી."
તેમણે દેશવાસીઓને ખાતરી આપી છે કે, "હું ફરીથી દેશના લોકોના અધિકારો માટે, લોકશાહી માટે અને મારા પિતાના 'સોનાર બાંગ્લા' ના સપનાને પૂરું કરવા માટે પાછી ફરીશ. અવામી લીગ લોકોની તાકાતથી ફરી ઊભી થશે, ઇન્શાઅલ્લાહ." સચ્ચાઈ અને લોકશાહી માટેનો આ સંઘર્ષ સતત ચાલુ રહેશે અને બાંગ્લાદેશ ફરી મુક્તિ સંગ્રામના માર્ગે આગળ વધશે.