સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પરિવારમાં મોટી તિરાડ પડી છે. તેમના દીકરા પ્રતીક યાદવે પત્ની અપર્ણા યાદવને છૂટાછેડા આપવાની જાહેરાત કરી છે. પ્રતીકે સોશિયલ મીડિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પરિવારમાં મોટી તિરાડ પડી છે.
ઉત્તર પ્રદેશના રાજકારણના સૌથી મોટા પરિવાર ગણાતા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. જોકે, આ વખતે મામલો રાજકીય નથી પણ પારિવારિક છે. સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવના નાના દીકરા પ્રતીક યાદવે પોતાની પત્ની અને બીજેપી નેતા અપર્ણા યાદવને તલાક આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
પ્રતીક યાદવે સોશિયલ મીડિયા પર કાઢ્યો ભડાસ
આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રતીક યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે પત્ની અપર્ણા યાદવની તસવીર મૂકીને ખૂબ જ આકરા શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પ્રતીક યાદવે પોસ્ટમાં લખ્યું છે કે, "હું જલ્દીથી જલ્દી આ મતલબી સ્ત્રીને તલાક આપવા જઈ રહ્યો છું. તેણે મારા પારિવારિક સંબંધો ખરાબ કરી નાખ્યા છે. તેને માત્ર પ્રખ્યાત અને પ્રભાવશાળી બનવું છે. અત્યારે મારી માનસિક હાલત ખૂબ જ ખરાબ છે અને તેને તેનાથી કોઈ ફેર પડતો નથી. કારણ કે તેને માત્ર પોતાની જ ચિંતા છે. મેં આટલી ખરાબ આત્મા ક્યારેય નથી જોઈ અને મારું દુર્ભાગ્ય હતું કે મેં તેની સાથે લગ્ન કર્યા."
કોણ છે પ્રતીક અને અપર્ણા?
તમને જણાવી દઈએ કે, પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના દીકરા છે. સંબંધમાં તેઓ સપા સુપ્રીમો અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના સાવકા ભાઈ થાય છે. બીજી તરફ, અપર્ણા યાદવ મુલાયમ સિંહની નાની વહુ છે. જોકે, અપર્ણા યાદવે સમાજવાદી પાર્ટીની રાજનીતિથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) જોઈન કરી લીધી હતી. હાલમાં તેઓ બીજેપીના નેતા છે અને યુપી રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
બંનેનો સ્વભાવ છે એકદમ વિપરીત
પતિ-પત્ની હોવા છતાં પ્રતીક અને અપર્ણાના કરિયર અને શોખ એકદમ અલગ છે. પ્રતીક યાદવ સક્રિય રાજકારણથી હંમેશા દૂર રહ્યા છે. તેઓ એક બિઝનેસમેન છે અને હાઈ પ્રોફાઈલ લાઈફ જીવવા માટે જાણીતા છે. તેમને મોંઘી અને લક્ઝરી કારનો બહુ શોખ છે અને તેમના કાર કલેક્શનની ચર્ચા અવારનવાર થતી રહે છે.
જ્યારે અપર્ણા યાદવ સક્રિય રાજકારણમાં છે. તેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને જાહેર જીવનમાં ઘણા એક્ટિવ રહે છે. આ દંપતીને એક દીકરી પણ છે.
અપર્ણા યાદવ તરફથી કોઈ જવાબ નહીં
પ્રતીક યાદવના આવા ગંભીર આરોપો અને તલાકની જાહેરાત બાદ હજુ સુધી અપર્ણા યાદવનું કોઈ નિવેદન કે રિએક્શન સામે આવ્યું નથી. મુલાયમ સિંહના નિધન બાદ યાદવ પરિવારમાં પડેલી આ મોટી ફૂટ અત્યારે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.