Accident News: આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી.
Accident News: આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ બસ ભાવનગરથી મથુરા જતી હતી. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.
હંત્રા ગામ પાસે થયો અકસ્માત
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ગોઝારો અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હંત્રા ગામ પાસે થયો છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મથુરા દર્શન કરવા જઇ રહ્યા હતા મુસાફરો
મળતી માહિતી પ્રમાણે, આ બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા. આ લોકો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. આ દરમિાયન પૂરપાટ આવતા ટ્રેલરે બસને ધડાકાભેર અથાડી હતી. ટ્રેલરે બસને અથાડીને 20થી 25 ફૂટ જેટલી ઘસેડી હતી. જેમાં બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા છે.
અનેક લોકોનો ચમત્કારિક બચાવ
આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.