ચીને વધુમાં કહ્યું કે, બેઈજિંગ એવા કોઈપણ પક્ષનો સખત વિરોધ કરે છે જે આ એવોર્ડનો ઉપયોગ ચીન વિરોધી એજન્ડા ફેલાવવા માટે કરે છે.
તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાને સંગીત જગતનો પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ મળતા ચીન અકળાયું છે. રવિવારે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા સમારોહમાં દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના પર ચીને સોમવારે સખત વાંધો ઉઠાવ્યો છે અને એક આકરું નિવેદન જાહેર કર્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તિબેટિયન આધ્યાત્મિક નેતાને આપવામાં આવેલા આ સન્માનનો ઉપયોગ 'ચીન વિરોધી ગતિવિધિઓ' માટે થઈ રહ્યો છે, જેનો તેઓ સખત વિરોધ કરે છે.
કઈ કેટેગરીમાં મળ્યો એવોર્ડ?
રવિવારે યોજાયેલા 68માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાને 'બેસ્ટ ઓડિયો બુક, નેરેટર અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ' કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. તેમને તેમના સ્પોકન-વર્ડ આલ્બમ 'મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા'માટે આ પહેલો ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ચીને કહ્યું - દલાઈ લામા માત્ર ધાર્મિક વ્યક્તિ નથી
આ એવોર્ડ મળતાની સાથે જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને દલાઈ લામા પર પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 90 વર્ષીય દલાઈ લામા કોઈ શુદ્ધ ધાર્મિક વ્યક્તિ નથી. તેઓ એક રાજકીય નિર્વાસિત છે, જેઓ ધર્મના નામે ચીન વિરોધી ભાગલાવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
ચીને વધુમાં કહ્યું કે, બેઈજિંગ એવા કોઈપણ પક્ષનો સખત વિરોધ કરે છે જે આ એવોર્ડનો ઉપયોગ ચીન વિરોધી એજન્ડા ફેલાવવા માટે કરે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે
ઉલ્લેખનીય છે કે, દલાઈ લામા 1959 માં તિબેટ છોડ્યા બાદથી ભારતના હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રહે છે. તિબેટની આઝાદી માટે તેમના સતત અને અહિંસક સંઘર્ષ બદલ તેમને 1989 માં નોબેલ શાંતિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. હવે ગ્રેમી એવોર્ડ મળતા ચીન ફરી એકવાર ભડક્યું છે.