Gujarat weather update: અરબી સમુદ્રમાંથી આવી રહી છે આફત? શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ | Moneycontrol Gujarati
Get App

Gujarat weather update: અરબી સમુદ્રમાંથી આવી રહી છે આફત? શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ

Gujarat weather update: અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અપડેટેડ 01:03:15 PM Oct 18, 2023 પર
Story continues below Advertisement
Gujarat weather update: અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા

Gujarat weather update: રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં બે ઋતુઓ ઉનાળો અને શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. આ સાથે અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે ગુજરાત પર વાવાઝોડું આવશે કે નહીં તે અંગે શું કહ્યું છે તે જોઇએ.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે અમદાવાદના વાતાવરણ અંગે જણાવ્યુ કે, અમદાવાદનું વાતાવરણ સારું રહેશે. અહીં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે એટલે ખુશનુમા માહોલ રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે, અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. પરંતુ ટ્રેક કઈ તરફ રહેશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકે એવી આશંકા પ્રબળ બની છે. અરબ સાગરમાં ખૂંખાર વાવાઝોડું આકાર લઈ શકે છે.

હવામાન વિભાગે હાલ દરિયામાં હળવી હલચલ હોવાની પુષ્ટિ કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘સોમવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસરના કારણે આગામી 36 કલાકમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. હાલ તેની દિશા પશ્ચિમ-ઉત્તર રહેવાનું અનુમાન છે. જોકે, વાવાઝોડું બનશે કે નહીં એ અંગે હવામાન વિભાગ તરફથી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી થઈ. પરંતુ વિવિધ વેધર મોડલમાં અત્યંત ખૂંખાર વાવાઝોડાના એંધાણ જોવા મળી રહ્યાં છે.

ગલોબલ ફોરકાસ્ટ સિસ્ટમ વેધર મોડલની આગાહી પ્રમાણે, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી શકે છે. તો ECMWF વેધર મોડલના અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનમાં જઈને ટકરાઈ શકે છે. GFS મોડલના અનુમાન બિપોરજોયની જેમ ફરી એક વખત વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનની સરહદ આસપાસ ટકરાઈ શકે છે. જો કે, હાલ આ માત્ર અનુમાન છે. વાવાઝોડું કઈ દિશા પકડશે અને કેવો ટ્રેક હશે એને લઈને પાક્કું અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ જેમ સમય વિતશે એમ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો - Navratri 2023: અમદાવાદીઓને મોટી ભેટ, હવે 2 વાગ્યા સુધી મેટ્રો મળશે

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 1:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.