'અમારો સમય બગાડશો નહીં...': CJP પ્રદર્શનકારીઓ પર પોલીસ એક્શન મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીનો સ્પષ્ટ ઇનકાર
દિલ્હીમાં CJPના પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. CJI એ કહ્યું- 'અમારો સમય ન બગાડો, અમારે કોઈ વીડિયો નથી જોવો.'
વકીલે વારંવાર વિદ્યાર્થીઓને માર મારવાની વાત કહી અને વીડિયોનો હવાલો આપ્યો, છતાં બેન્ચે સ્પષ્ટ કહી દીધું કે, "તમે અમારો સમય બગાડશો નહીં."
CJP Protest in Delhi: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલો ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અરજદારના વકીલે CJI સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કરીને ગુરુવારે આ કેસ લિસ્ટ કરવા અને જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી.
'અમારો સમય બગાડશો નહીં, અમારે વીડિયો નથી જોવો'
અરજીકર્તાના વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, "પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પોલીસે બર્બરતા કરી છે અને મારી પાસે તેના વીડિયો પણ છે." આ સાંભળીને CJI એ કડક શબ્દોમાં અરજી ફગાવતા કહ્યું કે, "અમને આ વીડિયોમાં કોઈ જ રસ નથી. અમારી પાસે તેને જોવાનો સમય નથી અને અમે કોઈ વીડિયો જોવા પણ નથી માંગતા." વકીલે વારંવાર વિદ્યાર્થીઓને માર મારવાની વાત કહી અને વીડિયોનો હવાલો આપ્યો, છતાં બેન્ચે સ્પષ્ટ કહી દીધું કે, "તમે અમારો સમય બગાડશો નહીં."
શા માટે થયો હતો આ વિરોધ પ્રદર્શન?
આ સમગ્ર વિવાદ સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે શરૂ થયો હતો. NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓના વિરોધમાં CJPના નેતૃત્વમાં હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોએ સંસદ તરફ કૂચ કરી હતી. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી.
મધ્ય દિલ્હીમાં એકઠા થયેલા આ ટોળાને વિખેરવા અને સંસદ તરફ જતા રોકવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ જ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
નીટ મુદ્દે સંસદમાં હંગામો, સરકાર ચર્ચા માટે તૈયાર
ચોમાસુ સત્ર શરૂ થતાં જ સંસદમાં નીટ પેપર લીક મામલે વિપક્ષનો ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. બુધવારે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને સરકારનો પક્ષ રાખવા કહ્યું.
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને પુનરાવર્તિત કરી હતી અને આ મુદ્દે 'કાર્યસ્થગન પ્રસ્તાવ' લાવીને ચર્ચાની માંગ કરી હતી.
આનો જવાબ આપતા મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું કે, "સરકાર પહેલા દિવસથી જ નીટ પેપર લીક મામલે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ આ ચર્ચા સંસદના નિયમો મુજબ થવી જોઈએ. ચર્ચા ક્યારે કરવી, કેટલી લાંબી કરવી અને કયા નિયમ હેઠળ કરવી, તેનો અંતિમ નિર્ણય સ્પીકર તમામ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરીને લેશે."