Mission Moon: 2040 સુધીમાં ચંદ્ર પર પગ મૂકશે ભારતીય! ISRO એ તૈયાર કર્યો ભવ્ય રોડમેપ, જાણો શું છે માસ્ટર પ્લાન?
ISRO Moon Mission: ભારત હવે અવકાશમાં ઈતિહાસ રચવા તૈયાર છે! ISRO ના પૂર્વ ચીફ કિરણ કુમારે જાહેરાત કરી છે કે 2040 સુધીમાં ભારત ચંદ્ર પર માનવ મિશન મોકલશે અને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. જાણો વિગતે.
ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે પોતાની સ્પેસ ટેકનોલોજીનો વિકાસ સૈન્ય તાકાત વધારવાને બદલે સામાન્ય માણસના ફાયદા માટે કર્યો છે.
ISRO Moon Mission: ભારત અત્યારે અવકાશ ક્ષેત્રે (Space Sector) હરણફાળ ભરી રહ્યું છે. ચંદ્રયાનની સફળતા બાદ હવે ISROની નજર ખૂબ જ મોટા લક્ષ્યો પર છે. શું તમે કલ્પના કરી શકો છો કે ભારતીય અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર ઉતરે? જી હા, આ હવે માત્ર સપનું નથી પણ એક નક્કર પ્લાન છે. ISROના પૂર્વ ચીફ એ.એસ. કિરણ કુમારે ભારતના ‘ફ્યુચર સ્પેસ પ્લાન’ અંગે એક મોટી અને મહત્વની જાહેરાત કરી છે.
2040 સુધીમાં ચંદ્ર પર જશે ભારત
તાજેતરમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની મેનેજમેન્ટ કાઉન્સિલના ચેરમેન અને ISROના પૂર્વ વડા એ.એસ. કિરણ કુમારે એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI)ના 5 માં સંમેલનમાં ભારતના ભવિષ્યના રોડમેપ વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત માત્ર ચંદ્ર પર રોબોટ મોકલીને અટકશે નહીં, પરંતુ ત્યાં માણસો મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, "હવેથી લઈને 2040 સુધી અવકાશ ક્ષેત્રે અનેક મિશન હાથ ધરવામાં આવશે. ISROની યોજના છે કે 2040 સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવે."
પોતાનું સ્પેસ સ્ટેશન અને ભવિષ્યના મોટા લક્ષ્યો
મીડિયા સાથેની વાતચીતમાં કિરણ કુમારે ભારતના સ્પેસ રિસર્ચના આગામી પડાવ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું 2040 સુધીમાં ચંદ્રની સપાટી પર ભારતીય એસ્ટ્રોનોટ્સને ઉતારવા અને સફળતાપૂર્વક પરત લાવવા. ભારત 2040 સુધીમાં પોતાનું સ્વતંત્ર ‘સ્પેસ સ્ટેશન’ સ્થાપિત કરવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આનાથી અવકાશમાં લાંબા સમય સુધી રિસર્ચ કરવું શક્ય બનશે. તો, નજીકના ભવિષ્યમાં ચંદ્રયાન સાથે જોડાયેલું એક નવું મિશન આવશે. આ માટે ભારત જાપાન સાથે મળીને કામ કરી રહ્યું છે. આ સંયુક્ત મિશનમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે ચોક્કસ માહિતી મેળવવા માટે અત્યાધુનિક લેન્ડર અને રોવર મોકલવામાં આવશે.
સમાજના ભલા માટે ટેકનોલોજીનો ઉપયોગ
ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે પોતાની સ્પેસ ટેકનોલોજીનો વિકાસ સૈન્ય તાકાત વધારવાને બદલે સામાન્ય માણસના ફાયદા માટે કર્યો છે. કિરણ કુમારે ડો. વિક્રમ સારાભાઈને યાદ કરતા કહ્યું કે, આઝાદીના માત્ર 10 વર્ષ પછી જ સારાભાઈએ વિચાર્યું હતું કે કેવી રીતે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ, સંચાર અને હવામાનની જાણકારી માટે કરી શકાય. આજે પણ ભારત એ જ માર્ગ પર ચાલી રહ્યું છે. આ મિશનોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક લાભ, શિક્ષણ અને સુરક્ષામાં વધારો કરવાનો છે.
ખાનગી કંપનીઓ અને વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક
ISROના આ મહત્વાકાંક્ષી મિશન માત્ર સરકારી સંસ્થાઓ પૂરતા મર્યાદિત નહીં રહે. કિરણ કુમારે જણાવ્યું કે ભવિષ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ, એન્જિનિયરિંગ કોલેજો અને પ્રાઇવેટ કંપનીઓ માટે પણ સ્પેસ રિસર્ચમાં યોગદાન આપવાના દરવાજા ખુલશે. આનાથી ભારતના યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને નવી તકો મળશે. ટૂંકમાં કહીએ તો, વર્ષ 2024 થી શરૂ કરીને 2040 સુધીનો સમયગાળો ભારતીય અવકાશ વિજ્ઞાન માટે સુવર્ણકાળ સાબિત થવાનો છે. ભારત હવે અવકાશમાં પણ પોતાની કાયમી ઓળખ ઉભી કરવા સજ્જ છે.