આ બેઠકમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "આ પ્રવૃત્તિ અમને સ્વીકાર્ય નથી, કૃપા કરીને નિયંત્રણ રાખો." પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની હરકતો પર 'લગામ લગાવે'.
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સરહદ પારથી થતી ડ્રોન પ્રવૃત્તિઓ પર નારાજગી વ્યક્ત કરતા આર્મી ચીફે પાકિસ્તાનને સીધું સંભળાવી દીધું છે કે, "લગામ લગાવો." મંગળવારે યોજાયેલી સેનાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને પાકિસ્તાનની નાપાક હરકતો પર મોટો ખુલાસો કર્યો હતો.
ડ્રોન ઘૂસણખોરી પર ભારત લાલઘૂમ
આર્મી ચીફે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ હાલ સંવેદનશીલ છે પરંતુ ભારતીય સેનાના સંપૂર્ણ નિયંત્રણમાં છે. તાજેતરમાં જોવા મળેલા ડ્રોન વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, "10 જાન્યુઆરીના રોજ આશરે 6 ડ્રોન અને 11-12 જાન્યુઆરીએ 2 થી 3 ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન ખૂબ નાના હતા, તેમની લાઈટો ચાલુ હતી અને તે બહુ ઊંચાઈ પર ઉડી રહ્યા ન હતા."
પાકિસ્તાન શું તપાસવા માંગતું હતું?
ડ્રોન પાછળના પાકિસ્તાનના ઈરાદાઓ પર પ્રકાશ પાડતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે, મારું માનવું છે કે આ રક્ષણાત્મક ડ્રોન હતા. તેઓ એ તપાસવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે શું ભારત તરફથી કોઈ કાર્યવાહી થઈ રહી છે? અથવા તો તેઓ ભારતીય સેનાની કોઈ નબળાઈ કે ઘૂસણખોરી માટેનો કોઈ ચોર રસ્તો શોધી રહ્યા હતા." જોકે, આર્મી ચીફે સ્પષ્ટ કર્યું કે દુશ્મનને 'નકારાત્મક જવાબ' મળ્યો છે કારણ કે ઘૂસણખોરી માટે હવે કોઈ જગ્યા બાકી નથી.
DGMO લેવલે અપાયો કડક સંદેશ
આ બાબતને ગંભીરતાથી લેતા ભારતે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ પ્રવૃત્તિ અમને સ્વીકાર્ય નથી, કૃપા કરીને નિયંત્રણ રાખો. પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની હરકતો પર 'લગામ લગાવે'.
'ઓપરેશન સિંદૂર' અને સેનાની તૈયારી
આર્મી ચીફે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર' હાલ ચાલુ છે. તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ પણ દુઃસાહસ કે ભૂલ કરશે, તો ભારતીય સેના જમીની કાર્યવાહી માટે સંપૂર્ણપણે સજ્જ છે. 2026ની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.