ટ્રમ્પના નિર્ણય સામે અમેરિકામાં જ બળવો! ભારત પરના 50% ટેરિફને ગેરકાયદે ગણાવી હટાવવાની જોરદાર માંગ
US-India trade: અમેરિકી સાંસદોએ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લગાવેલા 50% ટેરિફને સખત વિરોધ સાથે પડકાર્યો છે. જાણો કેમ આ નિર્ણયને અમેરિકાના અર્થતંત્ર માટે નુકસાનકારક ગણાવવામાં આવી રહ્યો છે અને તેનાથી ભારત-અમેરિકા સંબંધો પર શું અસર થશે.
આ પ્રસ્તાવ ત્રણ સાંસદો - ડેબોરા રોસ, માર્ક વીસી અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવ્યો છે.
50% tariff on India: અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર 50% જેટલો જંગી ટેરિફ લગાવવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે હવે અમેરિકી સંસદમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો છે. અમેરિકી પ્રતિનિધિ સભાના ત્રણ પ્રભાવશાળી સભ્યોએ ટ્રમ્પના આદેશને ગેરકાયદેસર ગણાવીને તેને રદ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પગલું ટ્રમ્પની વેપાર નીતિઓ સામે ખુલ્લા વિરોધ ઉપરાંત ભારત-અમેરિકા સંબંધો માટે પણ એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "રાષ્ટ્રીય કટોકટી"ની ઘોષણા કરીને આંતરરાષ્ટ્રીય આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA) હેઠળ ભારતથી આયાત થતા ઘણા ઉત્પાદનો પર પહેલા 25% અને પછી વધારાનો 25% સેકન્ડરી ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% પર પહોંચી ગયો હતો. હવે આ જ નિર્ણયને અમેરિકી સંસદમાં પડકારવામાં આવ્યો છે.
ત્રણ સાંસદોએ ઉઠાવ્યો અવાજ
આ પ્રસ્તાવ ત્રણ સાંસદો - ડેબોરા રોસ, માર્ક વીસી અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને સમાપ્ત કરવાનો છે, જેનો ઉપયોગ આ ભારે ટેરિફ લાદવા માટે કરવામાં આવ્યો હતો.
અમેરિકન સાંસદોએ કેમ કર્યો વિરોધ?
આ ટેરિફ અમેરિકાના હિતમાં ન હોવાનું કારણ આપીને સાંસદોએ તેની આકરી ટીકા કરી છે.
અર્થતંત્ર અને રોજગારીને નુકસાન: નોર્થ કેરોલિનાના સાંસદ ડેબોરા રોસે જણાવ્યું કે, "અમારા રાજ્યનું અર્થતંત્ર ભારત સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ભારતીય કંપનીઓએ અહીં 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જેનાથી હજારો અમેરિકનોને રોજગારી મળી છે. ભારત પર ટેરિફ લગાવવો એ સીધો અમારા વેપાર અને નોકરીઓ પર હુમલો છે."
વધતી મોંઘવારીનો બોજ: ટેક્સાસના સાંસદ માર્ક વીસીએ કહ્યું કે, "આ ટેરિફ સામાન્ય અમેરિકન નાગરિકો પર લાદવામાં આવેલા ટેક્સ સમાન છે, જેઓ પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ભારત અમારો મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. આવા નિર્ણયો બંને દેશોના સંબંધોને નબળા પાડે છે."
સપ્લાય ચેઇન પર અસર: ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ આ ટેરિફને "નુકસાનકર્તા અને અવળી અસર કરનાર" ગણાવ્યો. તેમણે કહ્યું, "આનાથી સપ્લાય ચેઇન ખોરવાય છે, અમેરિકન કામદારોને નુકસાન થાય છે અને ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધે છે. આ ટેરિફ હટાવવાથી ભારત-અમેરિકા વચ્ચે આર્થિક અને સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનશે."
આગળ શું થશે?
આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉ બ્રાઝિલ પર લાદવામાં આવેલા ટેરિફ સામે પણ અમેરિકી સેનેટમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે અમેરિકી કોંગ્રેસ હવે રાષ્ટ્રપતિની કટોકટીની શક્તિઓનો ઉપયોગ કરીને લેવાતા એકપક્ષીય વેપાર નિર્ણયો પર અંકુશ લગાવવા માંગે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે, તો ભારત પરનો 50% ટેરિફ હટાવવાનો માર્ગ ખુલી શકે છે, જેનાથી બંને દેશોના વેપારી સંબંધોમાં નવી ઉષ્મા આવી શકે છે.