અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? દવા અને તેલના વેપાર પર મોટું સંકટ
US Venezuela War: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતા વૈશ્વિક બજારમાં હડકંપ મચી ગયો છે. આ યુદ્ધની ભારત પર સીધી અસર થશે. તેલની આયાતથી લઈને દવાની નિકાસ અને ONGCના અટવાયેલા પૈસા વિશે જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં.
અમેરિકા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એક તાનાશાહ ગણાવે છે અને તેમને નેતા માનવા તૈયાર નથી.
US Venezuela War: દુનિયાના રાજકારણમાં અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક પછી એક 7 જેટલા મોટા ધડાકા સંભળાયા છે અને આકાશમાં નીચે ઉડતા વિમાનોનો અવાજ પણ સાંભળવા મળ્યો છે.
અમેરિકા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એક તાનાશાહ ગણાવે છે અને તેમને નેતા માનવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારના હુમલાના સંકેત પહેલા જ આપી દીધા હતા. જોકે, આ લડાઈ માત્ર બે દેશો વચ્ચેની નથી, તેની સીધી અને ગંભીર અસર ભારત પર પણ પડી શકે છે. ચાલો જાણીએ કે ભારત માટે ચિંતાનું કારણ શું છે.
ભારતની ઓઈલ સપ્લાય પર મોટું જોખમ
ભારત અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં સૌથી મહત્વની કડી ‘કાળું સોનું’ એટલે કે ક્રૂડ ઓઈલ છે. ભારત પોતાની જરૂરિયાતનું ઘણું તેલ વેનેઝુએલાથી ખરીદે છે. ખાસ કરીને રિલાયન્સ જેવી ભારતની મોટી રિફાઇનરીઓ વેનેઝુએલાના ભારે અને ઘટ્ટ તેલને પ્રોસેસ કરવા માટે ડિઝાઈન કરાયેલી છે.
આ તેલમાંથી જ ડીઝલ અને પેટ્રોલ બને છે. જો યુદ્ધ કે પ્રતિબંધોને કારણે આ સપ્લાય અટકી જાય, તો ભારતને રોજનું લગભગ 6,00,000 બેરલ તેલ મળવાનું બંધ થઈ શકે છે. આ ખાડો પૂરવા માટે ભારતીય કંપનીઓએ મિડલ ઈસ્ટ અથવા કેનેડાથી મોંઘું તેલ ખરીદવું પડશે, જેના કારણે ભારતમાં ઈંધણના ભાવ વધી શકે છે.
ભારત-વેનેઝુએલા વચ્ચે શું વેપાર થાય છે ?
માત્ર તેલ જ નહીં, ભારત અને વેનેઝુએલા વચ્ચે બીજી ઘણી વસ્તુઓનો વેપાર થાય છે.
ભારત શું વેચે છે: ભારત વેનેઝુએલાને દવાઓ, રસી (Vaccines), મશીનરી, સુતરાઉ કાપડ, કેમિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સામાન વેચે છે. વેનેઝુએલામાં વપરાતી ઘણી દવાઓ ભારતથી સસ્તા ભાવે જાય છે.
ભારત શું ખરીદે છે: ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત ત્યાંથી પેટ્રોલિયમ કોક, લોખંડનો ભંગાર (Scrap Iron), તાંબાનો ભંગાર અને કેમિકલ ખરીદે છે.
આંકડાની વાત: વર્ષ 2023-24 માં ભારતે વેનેઝુએલાથી આશરે 43.4 Million ડોલરનું સ્ક્રેપ લોખંડ આયાત કર્યું હતું. જ્યારે 2024 ના ડેટા મુજબ, ઓટોમોબાઈલ અને બાંધકામમાં વપરાતું એલ્યુમિનિયમ લગભગ 36.20 Million ડોલરનું આયાત કરવામાં આવ્યું હતું.
ONGCના કરોડો રૂપિયા અટવાયા
વેનેઝુએલા પર અમેરિકાના પ્રતિબંધો અને હુમલાને કારણે ભારતને આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે. ભારતની સરકારી કંપની ONGC Videsh એ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં મોટું રોકાણ કરેલું છે. હાલની સ્થિતિને કારણે કંપનીના લગભગ 600 Million ડોલર ત્યાં અટવાઈ ગયા છે, જે એક બહુ મોટો ઝટકો છે. વર્ષ 2024 માં ભારતે ત્યાંથી 22 Million બેરલ તેલ મંગાવ્યું હતું, પરંતુ હવે આ સપ્લાય ચેઈન જોખમમાં છે. સાથે જ ભારતમાંથી ત્યાં જતી દવાઓ અને કાપડની નિકાસમાં પણ ઘટાડો થયો છે.
ભારત ચૂપ કેમ છે?
સ્વાભાવિક છે કે આટલું નુકસાન થતું હોવા છતાં ભારત આ મામલે કેમ કંઈ બોલતું નથી? તેનું મુખ્ય કારણ અમેરિકા સાથેના વ્યાપારી સંબંધો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થવાની પ્રક્રિયામાં છે. ભૂતકાળમાં પણ જ્યારે અમેરિકાએ વેનેઝુએલા પર તેલના પ્રતિબંધો મૂક્યા હતા, ત્યારે ભારતે કોઈ વિરોધ કર્યો ન હતો. ભારત અત્યારે કોઈ દખલગીરી કરીને અમેરિકા સાથેના પોતાના વ્યાપારી સંબંધો બગાડવા નથી માંગતું. તેથી, ભારત અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી રહ્યું છે.