'તમારા કન્ટેન્ટની જવાબદારી તમારે જ લેવી પડશે': ડિજિટલ પ્લેટફોર્મ્સને IT મંત્રી અશ્વિની વૈષ્ણવની કડક ચેતવણી | Moneycontrol Gujarati
Get App

'તમારા કન્ટેન્ટની જવાબદારી તમારે જ લેવી પડશે': ડિજિટલ પ્લેટફોર્મ્સને IT મંત્રી અશ્વિની વૈષ્ણવની કડક ચેતવણી

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્લેટફોર્મ્સને કડક શબ્દોમાં કહ્યું છે કે કન્ટેન્ટ અને બાળકોની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ડીપફેક અને AI અંગે મંત્રીએ શું ચેતવણી આપી? જાણો વિગતે.

અપડેટેડ 03:23:19 PM Feb 26, 2026 પર
Story continues below Advertisement
ઈન્ટરનેટનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગ પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી.

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં ફેક ન્યૂઝ અને ડીપફેક એક મોટો પડકાર બની ગયા છે. આ મુદ્દે હવે કેન્દ્ર સરકાર સખત વલણ અપનાવી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્લેટફોર્મ્સને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમણે તેમના પ્લેટફોર્મ પર મુકાતા કન્ટેન્ટની જવાબદારી લેવી જ પડશે.

ગુરુવારે દિલ્હીમાં આયોજિત ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના એક કાર્યક્રમમાં બોલતા અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, નાગરિકો અને ખાસ કરીને બાળકોની ઓનલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ડિજિટલ પ્લેટફોર્મ્સની ફરજ છે.

ડીપફેક અને ભ્રામક માહિતી સમાજ માટે ખતરો

મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવતા ખોટા પ્રચાર અને ડીપફેકના જોખમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "ડીપફેક જેવી ટેકનોલોજી સમાજના મૂળભૂત સિદ્ધાંતો માટે મોટો ખતરો છે. જે ઘટના ક્યારેય બની જ નથી, તે સાચી હોવાનો ભાસ આ ટેકનોલોજી દ્વારા કરાવવામાં આવે છે, જે વિશ્વાસના પાયાને હચમચાવી નાખે છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, હજારો વર્ષોની મહેનત બાદ માનવ સમાજે જે સંસ્થાઓ અને વિશ્વાસનું માળખું ઊભું કર્યું છે, તેને સુરક્ષિત રાખવું જરૂરી છે. પ્લેટફોર્મ્સે હવે જાગવાની જરૂર છે અને આ સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ટકી રહે તે સમજવું પડશે.


'સુરક્ષા અને જવાબદારીમાંથી છટકી શકાય નહીં'

ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી નક્કી કરતા મંત્રીએ કહ્યું કે, "પ્લેટફોર્મ્સે પોતાના કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે. બાળકોની ઓનલાઇન સુરક્ષા અને તમામ નાગરિકોની સેફ્ટી એ પ્લેટફોર્મ્સની જવાબદારી છે." તેમણે ચેતવણી આપી હતી કે જો આ સિદ્ધાંતોનું પાલન નહીં કરવામાં આવે, તો પ્લેટફોર્મ્સને જવાબદાર ગણવામાં આવશે અને તેમની સામે પગલાં લેવાશે.

AI અને કન્ટેન્ટ પર રેગ્યુલેશન જરૂરી

ઈન્ટરનેટનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગ પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, "કોઈપણ વ્યક્તિની મંજૂરી વગર તેના ચહેરા, અવાજ કે વ્યક્તિત્વનો ઉપયોગ કરીને AI કન્ટેન્ટ બનાવવું ખોટું છે. તેને રેગ્યુલેટ કરવાની તાતી જરૂર છે."

મીડિયાનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે જેમ મીડિયા કોઈ પણ સમાચાર છાપતા પહેલા તેની ખરાઈ કરે છે અને તેની વિશ્વસનીયતા જાળવી રાખે છે, તેવું જ વલણ ડિજિટલ પ્લેટફોર્મ્સે પણ અપનાવવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ'માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ ડીપફેક અને ખોટી માહિતીને લઈને ચેતવણી આપી હતી. હવે IT મંત્રીનું આ નિવેદન દર્શાવે છે કે સરકાર આ દિશામાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે.

આ પણ વાંચો-નારાયણ મૂર્તિનું મોટું નિવેદન: 'યુવાનોએ AI થી ડરવાની જરૂર નથી, બસ તેને શીખવું પડશે'

MoneyControl News

MoneyControl News

First Published: Feb 26, 2026 3:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.