Amarnath Yatra: 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 1,477 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આ સાથે જ અમરનાથ યાત્રા પર જનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યાર સુધીમાં 4.66 લાખ થઈ ગઈ છે.
અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી. તે 52 દિવસ પછી 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે. મંગળવારે, 1,477 શ્રદ્ધાળુઓનો સમૂહ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષા કાફલામાં રવાના થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું, “377 મુસાફરોને લઈને 13 વાહનોનો પ્રથમ સુરક્ષા કાફલો સવારે 3.25 વાગ્યે ઉત્તર કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. 1,100 મુસાફરોને લઈને 39 વાહનોનો બીજો સુરક્ષા કાફલો પણ તે જ સમયે દક્ષિણ કાશ્મીરના નુનવાન (પહલગામ) બેઝ કેમ્પ માટે રવાના થયો હતો.
CAPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા અસાધારણ સુરક્ષા વ્યવસ્થાઓને કારણે આ વર્ષે યાત્રા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે ચાલી રહી છે. ગુફા મંદિરમાં બરફનું માળખું છે જે ચંદ્રના તબક્કાઓ સાથે વધે છે અને પડે છે. ભક્તોનું માનવું છે કે આ બરફની રચના ભગવાન શિવની પૌરાણિક શક્તિઓનું પ્રતીક છે. આ ગુફા કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,888 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ભક્તો ટ્રેડિશનલ દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચે છે.