જમ્મુ-કાશ્મીરમાં જળપ્રલય, ભારે વરસાદથી તબાહી, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખરાબ હવામાનને લીધે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા અટકાવી દેવાઈ છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ.
ભારે વરસાદને કારણે રાજૌરી જિલ્લામાં અચાનક પૂર આવતા હાહાકાર મચી ગયો છે. શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદે રહેણાંક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા છે.
Floods in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરમાં હવામાનનો મિજાજ ઝડપથી બગડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂર જેવી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. શનિવારે પડેલા ભારે વરસાદ બાદ, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રા અને શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રાને થોડા સમય માટે સાવચેતીના ભાગરૂપે અટકાવી દેવામાં આવી છે.
સરકારની પ્રાથમિકતા લોકોનો જીવ બચાવવો: CM ઉમર અબ્દુલ્લા
રાજ્યમાં બગડતી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું છે કે સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે.તેઓ રવિવાર સવારથી જ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ખાસ કરીને રાજૌરી અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. સીએમ ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે તેઓ સ્થાનિક ધારાસભ્યોના સતત સંપર્કમાં છે.વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રાત-દિવસ જોડાયેલું છે. જે લોકોના મકાનો અને સંપત્તિને નુકસાન થયું છે, તેમને સરકાર તરફથી તમામ શક્ય મદદ કરવામાં આવશે.
રાજૌરીમાં તબાહી: મકાનો-દુકાનોને ભારે નુકસાન
ભારે વરસાદને કારણે રાજૌરી જિલ્લામાં અચાનક પૂર આવતા હાહાકાર મચી ગયો છે. શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદે રહેણાંક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં એક મહિલા લાપતા થઈ હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અનેક મકાનો, વાહનો અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને લાપતા મહિલાની શોધખોળ ચાલુ છે.
અમરનાથ યાત્રા પર અસ્થાયી બ્રેક
હવામાન વિભાગની ચેતવણીને પગલે, 19 જુલાઈથી અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પહલગામ અને બાલટાલ એમ બંને રૂટ પરથી યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કાશ્મીરના કમિશનર અંશુલ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે, 19 જુલાઈથી બાલટાલ અને નુનવાન/ચંદનવાડી બેઝ કેમ્પથી કોઈપણ શ્રદ્ધાળુને આગળ જવા દેવામાં આવશે નહીં. જો હવામાનમાં સુધારો થશે અને રસ્તાઓ સુરક્ષિત જણાશે ત્યારબાદ જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધીમાં 3.7 લાખથી વધુ ભક્તો પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.
વૈષ્ણોદેવી યાત્રા પણ રોકવામાં આવી
ખરાબ હવામાનની અસર માતા વૈષ્ણોદેવી યાત્રા પર પણ પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓની સલામતી માટે આ યાત્રાને પણ હાલ પૂરતી રોકી દેવાઈ છે. હવામાન સામાન્ય થયા બાદ અને રસ્તાઓનું નિરીક્ષણ કર્યા પછી જ બંને યાત્રાઓ ફરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહીવટીતંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત સ્થળો પર જ રહે.