બેંકે આ અંગે તાત્કાલિક પગલાં લેતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
IDFC ફર્સ્ટ બેંકમાં 590 કરોડ રૂપિયાની છેતરપિંડીના સમાચાર સામે આવ્યા બાદ સોમવારે શેરબજારમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. બેંકનો શેર જોતજોતામાં 20% સુધી તૂટી ગયો હતો. જોકે, આ મુશ્કેલ સમયમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાનું એક મોટું અને રાહત આપતું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ગભરાવાની જરૂર નથી અને બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
RBI ગવર્નરે શું કહ્યું?
સોમવારે, 23 ફેબ્રુઆરીએ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ કોઈ 'સિસ્ટમિક' સમસ્યા નથી. અમે આ મામલા પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે બેંકો પાસે હાલમાં પૂરતી મૂડી છે. હાલ બેંકિંગ સિસ્ટમની કેપિટલ એડિક્વસી 17% છે, જે નિયમો મુજબ 11.5% હોવી જોઈએ, એટલે કે સ્થિતિ ઘણી મજબૂત છે.
શેરબજારમાં બોલ્યો કડાકો
આ સમાચારની અસર શેરબજાર પર તાત્કાલિક જોવા મળી હતી. IDFC ફર્સ્ટ બેંકના શેરમાં ભારે વેચવાલી નીકળી હતી. બપોરે 12:35 વાગ્યાની આસપાસ શેર 16% ઘટીને 70.39 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન એક સમયે તો શેરના ભાવમાં 20% સુધીનો કડાકો બોલી ગયો હતો, જેના કારણે રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
શું છે આખો મામલો?
રવિવારે IDFC ફર્સ્ટ બેંકે પોતે જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. બેંકે જણાવ્યું કે તેમની ચંદીગઢ બ્રાન્ચમાં હરિયાણા સરકારના ખાતાઓ સાથે ચેડાં થયા છે. બેંકના જ કેટલાક કર્મચારીઓ અને બહારના લોકોએ મળીને આશરે 590 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
બેંકે આ અંગે તાત્કાલિક પગલાં લેતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તપાસ માટે KPMG ને ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક ઓડિટના આદેશ પણ અપાયા છે. બેંકનું કહેવું છે કે તેઓ બીજા બેંકોના લિંક્ડ એકાઉન્ટ્સમાંથી પણ પૈસા રિકવર કરવાનો પ્રયાસ કરશે.
હરિયાણા સરકારનો આકરો નિર્ણય
આ ઘટના બાદ હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે IDFC ફર્સ્ટ બેંક અને AU સ્મોલ ફાઈનાન્સ બેંકને સરકારી કામકાજમાંથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધી છે. નાણા વિભાગે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ બેંકોમાં કોઈ સરકારી નાણાં જમા કરવામાં આવશે નહીં કે કોઈ રોકાણ કરવામાં આવશે નહીં.
બ્રોકરેજ ફર્મ્સ અને નિષ્ણાતોનો મત
આ કૌભાંડની બેંકની આર્થિક સ્થિતિ પર શું અસર થશે તે અંગે વિવિધ એજન્સીઓએ અનુમાન લગાવ્યા છે:
UBS: આ રકમ બેંકના નાણાકીય વર્ષ 2026 ના ચોખ્ખા નફાના 22% જેટલી હોઈ શકે છે. જોકે, બેંકની કુલ નેટવર્થ પર તેની અસર માત્ર 1% જેટલી જ રહેશે.
Morgan Stanley: ટેક્સ પહેલાના નફા પર 20% સુધીનો ફટકો પડી શકે છે.
Jefferies: બેંકે રોકાણકારોને વિશ્વાસ અપાવવો પડશે કે આ સમસ્યા માત્ર એક બ્રાન્ચ પૂરતી સીમિત છે અને બીજા ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે.
અંતમાં, RBI ગવર્નરે દેશની જનતાને ભરોસો અપાવ્યો છે કે બેંકિંગ સિસ્ટમમાં બેડ લોન (NPA) ઘટી છે અને સિસ્ટમ મજબૂત છે. ભારતને "વિકસિત ભારત" બનાવવા માટે બેંકિંગ સેક્ટર સંપૂર્ણ સક્ષમ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.