PM મોદીએ ખોલ્યું ભારતની તાકાતનું રહસ્ય: અમેરિકા સાથે ડીલ અને 38 દેશો સાથે FTA પાછળ છે આ છે મોટું કારણ
India FTA Deals: PM મોદીએ જણાવ્યું કે ભારત હવે દુનિયા સાથે પોતાની શરતો પર વેપાર કરે છે. 38 દેશો સાથે FTA, રાજકીય સ્થિરતા અને ભવિષ્યના રોડમેપ વિશે PMએ શું કહ્યું? વાંચો વિગતે.
PM મોદીએ કહ્યું કે, ભારત પાસે મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને MSMEની તાકાત છે.
PM Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરતા દેશની આર્થિક પ્રગતિ અને દુનિયાભરમાં ભારતની વધતી શાખ અંગે ખૂલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે શા માટે આજે દુનિયાના મોટા દેશો ભારત સાથે વેપાર કરવા આતુર છે. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશમાં જે રાજકીય સ્થિરતા છે, તેના કારણે જ વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો વધ્યો છે.
ભારત હવે પોતાની શરતો પર કરે છે વેપાર
તાજેતરમાં જ ભારત-અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના દેશો સાથે મુક્ત વ્યાપાર કરાર (FTA)ની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે વાત કરતા PM મોદીએ જણાવ્યું કે, ભારતે અત્યાર સુધીમાં 38 દેશો સાથે FTA પર હસ્તાક્ષર કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ તમામ કરારો ભારતે પોતાની શરતો પર કર્યા છે.
PM મોદીએ કહ્યું કે, ભારત પાસે મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને MSME (લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ની તાકાત છે. આ FTA નો મુખ્ય હેતુ આપણા દેશના કાપડ, ચામડું, કેમિકલ, હસ્તકળા અને રત્ન કલાકારો જેવા MSME સેક્ટર માટે વિદેશમાં બજાર ઊભું કરવાનો છે.
જૂની સરકાર પર કર્યા પ્રહારો
વાતચીત દરમિયાન PM મોદીએ અગાઉની UPA સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એ સમયમાં વેપાર અંગેની વાતચીત શરૂ તો થતી હતી, પરંતુ તે ક્યારેય પૂરી થતી નહોતી અને કોઈ નક્કર પરિણામ આવતું ન હતું. વાટાઘાટો તૂટી જતી હતી. જ્યારે આજે ભારત મજબૂતીથી પોતાની વાત મૂકી શકે છે.
આવનારા 10 વર્ષ માટે 3 મોટા મંત્ર
વડાપ્રધાને આવનારા દાયકા માટે ત્રણ મુખ્ય સુધારાઓ પર ભાર મૂક્યો છે:
વધુ માળખાકીય સુધારા
નવીનતા પર ભાર
સરળ શાસન વ્યવસ્થા
તેમણે કહ્યું કે અમારી સરકારની 'રિફોર્મ એક્સપ્રેસ' ખૂબ ઝડપથી આગળ વધી છે, પણ અમે આટલાથી સંતોષ માનતા નથી. ડિજિટલ ક્ષેત્રે UPI એ ભારતને દુનિયામાં લીડર બનાવ્યું છે અને હવે અમારું ફોકસ AI અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર છે.
બજેટ અને મહિલા વિકાસ
વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા સૌથી મહત્વની રહેશે તેવો વિશ્વાસ PM મોદીએ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો દરેક નિર્ણય મહિલાઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવાય છે.
બજેટ અને ખાસ કરીને સંરક્ષણ બજેટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમારી સરકારના બજેટ માત્ર હિસાબ-કિતાબ નથી હોતા, પણ તેમાં એક વિઝન હોય છે. સંરક્ષણ ક્ષેત્રે આધુનિકીકરણ એ સમયની માંગ છે અને ભારત દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ કોઈ મજબૂરી નથી, પણ અમારી તૈયારી છે.