ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કના થાપણદારોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બેન્કે કટોકટીગ્રસ્ત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના થાપણદારોને તેમના ખાતામાંથી 25,000 સુધી ઉપાડવાની મંજૂરી આપી, જે ચાલુ પ્રતિબંધો વચ્ચે આંશિક રાહત આપે છે. RBIએ 27 ફેબ્રુઆરી, 2025થી ધ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈના થાપણદારોને પ્રતિ ખાતાધારક 25,000 સુધી ઉપાડવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે આ છૂટછાટની જાહેરાત સેન્ટ્રલ બેન્ક દ્વારા બેન્ક પર ઉપાડ પર સંપૂર્ણ પ્રતિબંધ સહિત કડક પ્રતિબંધો લાદ્યાના લગભગ બે અઠવાડિયા પછી આવી છે.
બેન્કોની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, કેન્દ્રીય બેન્કે હવે થાપણદારોને આંશિક રાહત આપવાનો નિર્ણય લીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 50%થી વધુ થાપણદારો તેમની બાકી રકમ સંપૂર્ણ રીતે ઉપાડી શકશે. બાકીના ખાતાધારકો 25,000 સુધી અથવા જો તે તેમના ઉપલબ્ધ બેલેન્સ કરતા ઓછું હોય તો ઉપાડી શકે છે. ઉપાડ બેન્ક શાખાઓ અને ATM દ્વારા કરી શકાય છે.
હવે ગયા શનિવારે, મુંબઈ પોલીસે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કના જનરલ મેનેજર અને ખાતાના વડા અને તેના સહયોગીઓ વિરુદ્ધ રૂપિયા 122 કરોડની કથિત ઉચાપતનો કેસ નોંધ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસ વધુ તપાસ માટે શહેર પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ને સોંપવામાં આવ્યો છે.