સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત, રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ | Moneycontrol Gujarati
Get App

સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત, રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ

રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના જીવન ધોરણમાં વધારો થયો, રાજ્યના 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરાઈ, ગ્રાહકોને વીજબીલમાં રૂપિયા 3260 કરોડની બચત અને સૌર ઊર્જાના વેચાણથી રૂપિયા 330 કરોડની આવક પણ થઈ, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ.

અપડેટેડ 01:02:23 PM Aug 14, 2024 પર
Story continues below Advertisement
ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50% વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઊર્જા પર ભાર મૂક્યો છે.

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.

લાભાર્થીઓને રૂપિયા 3155 કરોડ સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂપિયા 3155 કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને રૂપિયા 3260 કરોડની વીજ બીલમાં બચત થઈ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂપિયા 330 કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂપિયા 993 કરોડની માતબર જોગવાઈ કરી છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું 52% યોગદાન


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂપિયા 75,000 કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2.49 લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત 52 %ના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.

ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ

ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવીને દેશના તમામ ડિસ્કોમમાં ગુજરાત મોડલનું પ્રસારણ કર્યું હતું અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા તેનું અનુસરણ કરેલ છે. બાય ડિરેક્સનલ મીટરની ખરીદી માટેનું અદ્યતન આયોજન, ઓટો મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ મિકેનિઝમ તેમજ સ્ટેટ કોર્પસ ફંડનું સુદ્રઢ આયોજન ગુજરાતને અન્યોથી વિશેષ સ્થાન આપાવે છે. ગુજરાતના નાગરીકો રૂફટોપ સોલરને મીઠો આવકાર આપીને અપનાવી રહ્યા છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

આ પણ વાંચો - Top-up home loans: ટોપ અપ હોમ લોનના આ ખાસ ફાયદા કદાચ તમે નહીં જાણતા હોવ, ઘણી મદદ કરે છે આ લોન

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2024 1:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.