EPF Salary Limit: નોકરિયાતો માટે મોટા સમાચાર, શું વધશે PFની લિમિટ? સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યું 4 મહિનાનું અલ્ટીમેટમ
શું તમારી સેલેરી 15,000 થી વધુ છે અને PF નથી કપાતું? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને EPF પગાર મર્યાદા વધારવા અંગે નિર્ણય લેવા 4 મહિનાનો સમય આપ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો અને તેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીનો નિકાલ કરતા અરજદારને નિર્દેશ આપ્યો છે કે તેઓ આવનારા 2 અઠવાડિયાની અંદર કોર્ટના આદેશની નકલ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરે.
EPF Salary Limit: દેશના લાખો નોકરિયાત લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ સ્કીમમાં પગારની મર્યાદા વધારવા અંગે નિર્ણય લેવા માટે કડક નિર્દેશ આપ્યો છે. કોર્ટે સરકારને આ અંગે વિચાર કરવા અને નિર્ણય લેવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 11 વર્ષોથી EPF માટેની પગાર મર્યાદામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
શું છે સમગ્ર મામલો?
હાલના નિયમો મુજબ, જે કર્મચારીઓનો બેઝિક પગાર મહિને 15,000 રૂપિયા સુધીનો હોય, તેમને જ ફરજિયાતપણે EPF સ્કીમમાં આવરી લેવામાં આવે છે. આ મર્યાદાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે આ સ્કીમ મરજીયાત છે અથવા તો તેઓ તેના લાભથી વંચિત રહી જાય છે.
સોમવારે જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની બેન્ચે સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આટલા લાંબા સમયથી લિમિટમાં ફેરફાર ન થવો એ ગંભીર બાબત છે.
વકીલોની દલીલ: લઘુત્તમ વેતન કરતા પણ ઓછી છે લિમિટ
અરજદારના વકીલ પ્રણવ સચદેવા અને નેહા રાઠીએ કોર્ટમાં ખૂબ જ તાર્કિક દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,દેશના અનેક ભાગોમાં અત્યારે મિનિમમ વેજ પણ 15,000 રૂપિયા કરતા વધારે છે. આમ છતાં, EPFની મર્યાદા હજુ પણ જૂની જ હોવાથી મોટી સંખ્યામાં કર્મચારીઓ સોશિયલ સિક્યુરિટી અને ભવિષ્ય નિધિના લાભોથી વંચિત રહી જાય છે. છેલ્લા 70 વર્ષોમાં પગાર મર્યાદામાં જે પણ સુધારા થયા છે તે મનસ્વી રીતે થયા છે. ક્યારેક તો 13-14 વર્ષના લાંબા અંતરાલ બાદ ફેરફાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન વધતી મોંઘવારી કે પ્રતિ વ્યક્તિ આવક જેવા આર્થિક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
સરકારે 4 મહિનામાં લેવો પડશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીનો નિકાલ કરતા અરજદારને નિર્દેશ આપ્યો છે કે તેઓ આવનારા 2 અઠવાડિયાની અંદર કોર્ટના આદેશની નકલ સાથે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરે. ત્યારબાદ, સરકારે આગામી 4 મહિનાની અંદર આ વિષય પર યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.
2022માં જ થઈ હતી ભલામણ
યાચિકામાં જણાવવામાં આવ્યું છે કે આ અસંગત નીતિને કારણે ઘણા ઓછા કર્મચારીઓ EPF નો લાભ લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2022માં EPFOની એક પેટા-સમિતિએ પગાર મર્યાદા વધારવાની અને વધુ કર્મચારીઓને યોજનામાં સામેલ કરવાની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બોર્ડે તેને મંજૂરી પણ આપી દીધી હતી, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેના પર કોઈ આખરી નિર્ણય લીધો નથી.
હવે સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ આશા જાગી છે કે સરકાર ટૂંક સમયમાં પગાર મર્યાદા 15,000 થી વધારી શકે છે, જેનાથી લાખો કર્મચારીઓને નિવૃત્તિ સમયે મોટો ફાયદો થશે.