ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કદાચ નારાજગી વહોરવા ન ઈચ્છે, તેથી સતત ત્રીજા વર્ષે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરે તેવી પણ શક્યતા છે. એટલે કે, કર્મચારીઓને થોડી રાહત મળવાની આશા હજુ જીવંત છે.
જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કપાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. પ્રાઈવેટ નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. સરકાર આગામી સમયમાં EPF ના વ્યાજદરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી છે, જેની સીધી અસર તમારી બચત પર પડી શકે છે.
વ્યાજદરમાં કેટલો ઘટાડો થઈ શકે?
સામાન્ય રીતે PF એ પ્રાઈવેટ કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયની સૌથી મોટી મૂડી ગણાય છે. પરંતુ 'ઈકોનોમિક ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ, EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
હાલમાં PF પર 8.25% વ્યાજ મળે છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની મીટિંગ મળવાની છે. આ મીટિંગમાં વ્યાજદર ઘટાડીને 8% થી 8.20% ની વચ્ચે કરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર, EPFO નું ફંડ (Corpus) ઘટી રહ્યું હોવાથી, તેને સરભર કરવા માટે વ્યાજદરમાં આ કાપ મૂકવામાં આવી શકે છે.
ક્યારે લેવાશે નિર્ણય?
EPF પર વ્યાજ નક્કી કરવાની પ્રક્રિયામાં સૌથી પહેલા ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ કમિટીની બેઠક મળશે. અહીં રોકાણ પર મળેલા રિટર્નની ગણતરી થશે. ત્યારબાદ માર્ચમાં CBT ની મીટિંગમાં વ્યાજદરનો નિર્ણય લેવાશે. જોકે, આ નિર્ણય બાદ નાણા મંત્રાલયની મંજૂરી લેવી પડે છે અને છેલ્લે શ્રમ મંત્રાલય તેને નોટિફાય કરે છે.
શું ચૂંટણી બચાવી શકશે વ્યાજદર?
એક તરફ વ્યાજદર ઘટવાની વાત છે, તો બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કદાચ નારાજગી વહોરવા ન ઈચ્છે, તેથી સતત ત્રીજા વર્ષે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરે તેવી પણ શક્યતા છે. એટલે કે, કર્મચારીઓને થોડી રાહત મળવાની આશા હજુ જીવંત છે.
પગાર મર્યાદા વધારવા પર વિચારણા
માત્ર વ્યાજદર જ નહીં, પરંતુ પગાર મર્યાદા વધારવા પર પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં જે કર્મચારીઓની બેઝિક સેલેરી 15,000 રૂપિયા સુધી છે, તેમના માટે PF કાપવું ફરજિયાત છે. 15,000 થી વધુ પગાર હોય તો તે મરજિયાત બની જાય છે.
જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે સરકારને આ લિમિટ વધારવા માટે વિચાર કરવા કહ્યું હતું. હવે આ મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. છેલ્લે 2014 માં આ લિમિટ બદલવામાં આવી હતી. જો આ લિમિટ વધશે તો વધુ કર્મચારીઓ PF ના દાયરામાં આવશે, જોકે કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે કારણ કે તેનાથી તેમનો ખર્ચ વધી શકે છે.
તમારા પૈસાનું ગણિત શું છે?
તમારી જાણકારી માટે, પ્રાઈવેટ નોકરીમાં કર્મચારીની બેઝિક સેલેરીના 12% રકમ PF એકાઉન્ટમાં જાય છે. કંપની પણ એટલું જ યોગદાન આપે છે. કંપનીના હિસ્સામાંથી 8.33% રકમ પેન્શન સ્કીમ (EPS) માં જાય છે, જ્યારે બાકીની રકમ PF માં જમા થાય છે. આ જમા રકમ પર સરકાર દર વર્ષે વ્યાજ આપે છે..હવે માર્ચ મહિનાની મીટિંગ પર સૌની નજર રહેશે કે સરકાર કર્મચારીઓને ભેટ આપે છે કે પછી વ્યાજદરમાં કાપ મૂકીને ઝટકો આપે છે.