RBI કિસાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં કરશે મોટા ફેરફાર: માત્ર 4% વ્યાજે મળશે લોન, જાણો શું છે નવો ડ્રાફ્ટ?
ભારતીય રિઝર્વ બેંકે (RBI) કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ના નિયમોમાં ફેરફાર માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ફેરફારોથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહેશે અને 4% ના દરે લોનનો લાભ મળશે. જાણો નવા પ્રસ્તાવો અને ફાયદા વિશે.
આ કાર્ડ લેવા માટે જમીનના માલિક હોવું ફરજિયાત નથી. ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતો (Sharecroppers) અને ભાડે ખેતી કરતા ખેડૂતો પણ આ લોન માટે પાત્ર છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. RBI એ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનાના નિયમોમાં ફેરફાર કરવા માટે એક ડ્રાફ્ટ (ખરડો) જાહેર કર્યો છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સરળતાથી લોન મળી રહે, પ્રક્રિયા સરળ બને અને ખેતીમાં આવતી નવી જરૂરિયાતો પૂરી થઈ શકે તે છે.
આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો અને અન્ય સંબંધીત પક્ષો પોતાના સૂચનો આપી શકે છે. RBI એ આ માટે 6 માર્ચ, 2026 સુધીનો સમય આપ્યો છે. ચાલો જાણીએ કે આ નવા ફેરફારોથી ખેડૂતોને શું ફાયદો થશે.
કયા ફેરફારો થઈ શકે છે?
RBI દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ખેડૂતોની સુવિધા માટે ઘણા મહત્વના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે:
લોનનો સમયગાળો અને પાક ચક્ર: RBI એ લોનની મંજૂરી અને ભરપાઈ (Repayment) માં એકસૂત્રતા લાવવા માટે પાકની સીઝનને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટૂંકા ગાળામાં તૈયાર થતા પાક માટે 12 મહિનાનું ચક્ર અને લાંબા ગાળાના પાક માટે 18 મહિનાનું ચક્ર નક્કી કરવામાં આવ્યું છે.
કાર્ડની વેલિડિટી: લાંબા ગાળાના પાક ચક્રને ધ્યાનમાં રાખીને, કિસાન ક્રેડિટ કાર્ડની કુલ સમયસીમા (Validity) વધારીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.
ખર્ચ મર્યાદામાં વધારો: ડ્રાફ્ટમાં સૂચન છે કે દરેક સીઝન માટે પાકના અંદાજિત ખર્ચ મુજબ લોનની રકમ (Withdrawal limit) નક્કી કરવામાં આવે, જેથી ખેડૂતોને ખેતીના વાસ્તવિક ખર્ચ મુજબ પૂરતા પૈસા મળી રહે.
નવી ટેકનોલોજી માટે ખર્ચ: હવે માટી પરિક્ષણ (Soil Testing), હવામાનની જાણકારી, ઓર્ગેનિક ખેતી અને કૃષિ પદ્ધતિઓના સર્ટિફિકેશન જેવા ટેકનિકલ ખર્ચનો પણ લોનમાં સમાવેશ કરવામાં આવશે. આ ખર્ચ કૃષિ સંપત્તિના મેન્ટેનન્સ માટે હાલમાં મળતા 20% વધારાની રકમમાંથી કાઢવામાં આવશે.
કોને મળી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ?
તમને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર સરકારી બેંકો જ નહીં, પરંતુ ગ્રામીણ બેંકો અને કેટલીક પ્રાઈવેટ બેંકો પણ આપે છે.
આ કાર્ડ લેવા માટે જમીનના માલિક હોવું ફરજિયાત નથી. ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતો (Sharecroppers) અને ભાડે ખેતી કરતા ખેડૂતો પણ આ લોન માટે પાત્ર છે.
જરૂરી દસ્તાવેજો: આ માટે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, રેવન્યુ અધિકારી દ્વારા પ્રમાણિત જમીનના પુરાવા અને કયો પાક વાવવાનો છે તેની વિગતો આપવી પડે છે.
વ્યાજ દર અને લોનની રકમ: માત્ર 4% વ્યાજે લોન
કિસાન ક્રેડિટ કાર્ડનો મુખ્ય હેતુ ખેડૂતોને સમયસર અને સસ્તી લોન પૂરી પાડવાનો છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી અને અન્ય ખર્ચાઓ માટે શોર્ટ ટર્મ લોન મળે છે.
વ્યાજ દર: સામાન્ય રીતે 3 લાખ રૂપિયા સુધીની લોન પર 7% વ્યાજ દર હોય છે.
સબસિડીનો લાભ: જો ખેડૂત લોનની રકમ સમયસર બેંકમાં ભરી દે છે, તો તેને સરકાર તરફથી વ્યાજમાં વધારાની 3% સબસિડી મળે છે. એટલે કે, ખેડૂતને આ લોન અસરકારક રીતે માત્ર 4% વ્યાજ દરે પડે છે.
આ યોજના ખેડૂતોને શાહુકારોના ઊંચા વ્યાજથી બચાવે છે અને ખેતી તેમજ પાક તૈયાર થયા પછીના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે. RBI ના આ નવા પ્રસ્તાવો અમલમાં આવવાથી ખેડૂતોને લોન લેવામાં અને તેની ભરપાઈ કરવામાં વધુ સરળતા રહેશે.