ડિજિટલ પેમેન્ટ કરનારાઓ માટે રાહત: 2,000 સુધીના UPI અને RuPay ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે, સરકારનો કડક આદેશ
ઓનલાઈન પેમેન્ટ કરતા લોકો માટે સારા સમાચાર! કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયા સુધીના UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર બેંકો કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહીં.
નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ રોક માત્ર સીધા ચાર્જ પર જ નહીં, પરંતુ પરોક્ષ રીતે લેવાતા ચાર્જ પર પણ લાગુ પડે છે.
Digital payments : જો તમે પણ ચાની કીટલીથી લઈને કરિયાણાની દુકાન સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે 2000 રૂપિયા સુધીના RuPay ડેબિટ કાર્ડ અને UPI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકો કે વેપારીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લઈ શકાશે નહીં. નાણા મંત્રાલય દ્વારા મંગળવારેઆ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
શું છે સરકારનો નવો આદેશ?
ન્યૂઝ એજન્સી ANI અને નાણા મંત્રાલયના રિપોર્ટ મુજબ, સરકારે 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007' ની કલમ 10A હેઠળ આ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત તમામ બેંકો અને સિસ્ટમ પ્રોવાઈડર્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ 2000 રૂપિયા સુધીની લેવડદેવડ પર પૈસા મોકલનાર કે સ્વીકારનાર વ્યક્તિ પાસેથી કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં.
છૂપો ચાર્જ પણ નહીં લગાવી શકાય
ઘણીવાર એવું બનતું હોય છે કે બેંકો સીધી રીતે નહીં, પણ કોઈ અન્ય ચાર્જના બહાને ગ્રાહકો પાસેથી ફી વસૂલતી હોય છે. પરંતુ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ રોક માત્ર સીધા ચાર્જ પર જ નહીં, પરંતુ પરોક્ષ રીતે લેવાતા ચાર્જ પર પણ લાગુ પડે છે. એટલે કે, બેંક કે યુપીઆઈ એપ કોઈ અન્ય બહાને આ ટ્રાન્ઝેક્શનનો બોજ ગ્રાહકના માથે નાખી શકશે નહીં.
આ નિર્ણય કેમ લેવાયો અને કોને થશે ફાયદો?
આ નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધુ મજબૂત બનાવવાનો છે.
નાના વેપારીઓને રાહત: ખાસ કરીને નાના દુકાનદારો, લારી-ગલ્લાવાળા અને સામાન્ય ગ્રાહકોને આનો સૌથી મોટો ફાયદો થશે.
કેશલેસ ઇકોનોમી: જો 10 કે 50 રૂપિયા જેવા નાના પેમેન્ટ પર એક્સ્ટ્રા ચાર્જ લાગવા માંડે, તો લોકો ફરીથી રોકડનો ઉપયોગ કરવા લાગે. આ વ્યવસ્થાથી લોકો વિના સંકોચે નાના પેમેન્ટ માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકશે.
ભારતમાં યુપીઆઈનો દબદબો: આંકડા શું કહે છે?
ભારતમાં UPI મારફતે થતા ટ્રાન્ઝેક્શન દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા મુજબ,,,ઓગસ્ટ 2026માં ભારતમાં કુલ 24,508.96 મિલિયન (અંદાજે 2450.9 કરોડ) UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. જો રોજની સરેરાશ કાઢીએ તો ભારતમાં દરરોજ લગભગ 79 કરોડ UPI પેમેન્ટ થાય છે. ઓગસ્ટ 2026 માં થયેલા આ વ્યવહારોનું કુલ મૂલ્ય લગભગ 29.82 લાખ કરોડ રૂપિયા જેટલું જંગી રહ્યું છે.